1993 પછીની તમામ કોલસા ખાણ ફાળવણી ગેરકાયદેસર : સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, 25 ઓગસ્ટ : કૌભાંડી પ્રધાનો, ભ્રષ્ટ્રાચારી રાજનેતાઓ અને કૌભાંડમાં સંડોવાયેલી કંપનીઓને હચમચાવી મૂકતા એક ચૂકાદામાં આજે સુપ્રીમ કોર્ટે 1993 પછીની કોલસા ખાણોની ફાળવણી ગેરકાયદેસર જાહેર કરી છે. આ ચૂકાદાથી ખળભળાટ મચી ગયો છે. આ સાથે સુપ્રીમે જણાવ્યું છે કે તમામ 218 ફાળવણીઓ રદ જાહેર કરવી કે નહીં તે અંગેનો નિર્ણય હવે પછીની સુનવણીમાં લેવાશે.
હવે ફાળવણી રદ્દ કરવા મુદ્દે સુપ્રીમ કોર્ટ આગામી 1 સપ્ટેમ્બરે પોતાનો નિર્ણય જાહેર કરશે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ફાળવણીમાં નિયમોનું પાલન કરાયું ન હતું અને આ સમગ્ર પ્રક્રિયામાં મનમાની આચરવામાં આવી હતી.
આજે સુપ્રીમ કોર્ટની બેંચે 194 કોલ બ્લોક ફાળવણીમાં અનિયમિતતાની સુનાવણી કરી હતી. આ કોલ બ્લોક ઝારખંડ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, પશ્વિમ બંગાળ, ઓડિશા અને મધ્યપ્રદેશમાં ખાનગી કંપનીઓ અને પાર્ટીઓને 2004થી 2011 દરમિયાન ફાળવવામાં આવ્યા હતા.
સુનાવણી કરી રહેલી પીઠમાં જસ્ટિસ એમ બી લોકુર અને કુરિયન જોસફ પોતે આ કોભાંડની CBI દ્વારા થતી તપાસનું મોનિટરિંગ કરી રહ્યા છે. સીબીઆઈએ કુલ 23 કેસ દાખલ કર્યા હતા. નોંધનીય છે કે આ ગેરકાયદેસર ફાળવણીને કારણે સરકારને રૂપિયા 1.64 લાખ કરોડનું નુકસાન થયું હતું.
કોર્ટે કહ્યું છે કે બ્લોકની ફાળવણીમાં સામાન્ય લોકોના હિતોનું ધ્યાન રખાયું નથી. આ માટે 1992થી 2012 સુધીની બધી ફાળવણી ગેરકાયદેસર છે. ઉલ્લેખનીય છે કે 1992થી લઈને અત્યાર સુધીમાં 218 કોલ બ્લોક ફાળવવામાં આવ્યા છે. જેમાંથી 80 ફાળવણીઓ અલગ-અલગ કારણોથી પહેલા જ રદ્દ થઈ ચૂકી છે.
સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા શકીલ અહેમદે કહ્યું કે કોલ બ્લોક ફાળવણીના મામલે યૂપીએ સરકારે એ જ પેટર્ન અપનાવી હતી, જે એનડીએ દ્વારા તૈયાર કરાઈ હતી. એનડીએ શાસનકાળમાં એક પણ કોલ બ્લોકની ફાળવણી જાહેરાત આપી કરવામાં આવી ન હતી. એનડીએ અમારાથી ઓછી પારદર્શક હતી.