ગેંગરેપના આરોપીએને ઝડપથી સજા ફટકારાયઃ સોનિયા
નવીદિલ્હી ખાતે કોંગ્રેસ મુખ્યાલયમાં પક્ષના 127માં જન્મદિવસ નિમિત્તે એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું. જ્યાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ સામુહિક બળાત્કાર પર પહેલીવાર પોતાની સાર્વજનિક ટિપ્પણીમાં કહ્યું છે કે સામુહિક બળાત્કારની ઘટનામાં આરોપીઓને સજા ફટાકારવામાં સમય બરબાદ થવો ના જોઇએ તેમને ઝડપભેર સજા ફટકારવામાં આવી જોઇએ. અમારી પ્રાર્થનાઓ પીડિતા સાથે અને અમે ઇચ્છીએ છીએ કે તે ઝડપથી સ્વસ્થ થઇ જાય અને આપણી વચ્ચે આવે.
આ સમારોહમાં ઉપસ્થિત પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહે કહ્યું છે કે પીડિતાને સર્વશ્રેષ્ઠ હરસંભવ સારવાર આપવામાં આવી રહી છે અને અમે આરોપીઓને ઝડપથી સજા આપવા માટે પ્રતિબદ્ધ છીએ.
નોંધનીય છે કે, રાત્રીના સમયે પોતાના મિત્ર સાથે ફિલ્મ જોઇને પરત ફરી રહેલી મેડિકલની વિદ્યાર્થિની પર દિલ્હીમાં ચાલતી બસમાં સામુહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને નિર્દયતાપૂર્વક તેને માર મારીને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. હાલ તે સિંગાપોરમાં સારવાર લઇ રહી છે. આ ઘટના બાદ દેશભરમાં રોષ ફાટી નિકળ્યો હતો અને સરકારની તથા કાયદા અને વ્યવસ્થાની આકરી ટીકા કરવામાં આવી હતી.