દિલ્હી રેપ કેસઃ તણાવ વધ્યો, મંગોલપુરી છાવણીમાં ફેરવાયું
નવી દિલ્હી, 2 માર્ચઃ દેશની રાજધાની દિલ્હીના એક વિસ્તાર મંગોલપુરીમાં એક સગીરા પર બળાત્કાર થવાના મામલાને લઇને લોકોમાં તણાવ વધી રહ્યો છે. સ્થિતિને નિયંત્રિત કરવા માટે આ વિસ્તાર છાવણીમાં ફેરવાયું છે. આ પહેલા આજે સવારે મોટી સંખ્યામાં લોકો પોલીસ ચોકી પાસે જમા થઇ ગયા હતા અને હંગામો કરવા લાગ્યા હતા. ટોળાએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો જેમાં ત્રણ પોલીસકર્મીઓને ઇજા પહોંચી છે. મંગોલપુરી મથકના એસએચઓ અશોક કુમાર શર્માના પગમાં ગંભીર ઇજા પહોંચી છે. પોલીસે સ્થિતિ પર કાબુ મેળવવા માટે 17 લોકોને અટકાયતમાં લીધા છે.
નોંધનીય છે કે 17 ડિસેમ્બરે દિલ્હીમાં થયેલા એક ગેંગ રેપ બાદ લોકોએ દેશભરમાં પ્રદર્શન કર્યું હતું, તેમ છતાં સરકારે આ મામલે અત્યારસુધી કોઇ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી નથી. લોકોની માંગ હતી કે મહિલાઓ વિરુદ્ધ થનારા અપરાધોને રોકવા માટે કડક કાયદો બનાવવામાં આવે, જેનાથી આ ઘટનાઓને રોકી શકાય. તેવામાં એ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે, શું દિલ્હીમાં આ હિંસક પ્રદર્શન અટકશે, આ મામલાને લઇને પ્રશાસન પણ ચિંતિત છે.