ફોર્બ્સ: 1970ની "નસબંધી" જેવી છે PM મોદીની "નોટબંધી"
ફોર્બ્સ મેગેઝિનના સંપાદક સ્ટીવ ફોર્બ્સે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારનો નોટબંધીનો નિર્ણય અનૈતિક છે અને તેનાથી દેશની જનતાનું નુક્શાન થશે.
નોટબંધીના 50 દિવસ પૂર્ણ થવાના હવે જ્યારે ખાલી 4 દિવસ બાકી છે. ત્યારે દેશમાં જ નહીં વિદેશોમાં પણ નરેન્દ્ર મોદીની સરકારના આ ઐતિહાસિક નિર્ણયની ભારોભાર આલોચના થઇ રહી છે.
ફોર્બ્સ મેગેઝિનના લિસ્ટમાં સલ્લુ ટોપ પર, જાડેજાની એન્ટ્રી
દુનિયાના જાણીતા મેગેઝિન ફોર્બ્સના સંપાદકે નોટબંધીની તુલના ભારતીય ઇતિહાસના કુખ્યાત 1970ના નસબંધી કાર્યક્રમ સાથે કરી છે અને તેને અનૈતિક ગણાવીને કહ્યું છે કે આ જનતાની સંપત્તિની ખુલ્લેઆમ લૂંટ છે.
નોટબંધીથી થશે દેશને નુક્શાન
ફોર્બ્સ મેગેઝિનના 24 જાન્યુઆરી 2017ના અંકમાં ચેરમેન અને સંપાદક સ્ટીવ ફોર્બ્સે એક આર્ટિકલ લખી નોટબંધી અંગે પોતાના વિચારોને વ્યક્ત કર્યા છે. જે ઓનલાઇન પણ ઉપલબ્ધ છે. આ લેખમાં સ્ટીવ ફોર્બ્સે નરેન્દ્ર મોદીની સરકારનો નોટબંધીનો નિર્ણય વખોડ્યો છે. તેમણે આ નિર્ણયને અનૈતિક ખોટો નિર્ણય ગણાવ્યો છે. તેમણે લખ્યું છે કે 86 ટકા કરન્સી અચાનક બંધી કરવાથી દેશની અર્થવ્યવસ્થાને મોટું નુક્શાન થશે.
એટલું નહીં તેમણે આ નિર્ણયને 1970ની નસબંધી સાથે સરખાવ્યું હતું. સ્ટીવે નોટબંધીના આ નિર્ણય પર લખ્યું કે દેશની જનસંખ્યાને ઓછી કરવા માટે જે રીતે 1970ના બળજબરીપૂર્વક નસબંધી કરવામાં આવી હતી તે પછી સરકારે આ નિર્ણય દ્વારા આવું જ અનૈતિક પગલું ભર્યું છે.
નોટબંધીથી આતંકવાદ રોકાઇ જશે?
નોટબંધીના નિર્ણયને વડાપ્રધાન મોદીએ કાળા નાણાં અને આતંકવાદ વિરુદ્ધ મોટા પગલા રૂપે ગણાવ્યો હતો. તેના પર ટિપ્પણી કરતા ફોર્બ્સે કહ્યું કે શું ચલણ બદલવાથી આતંકીઓ તેમના ખોટા કામ કરવાનું બંધ કરી દેશે?
વધુમાં સ્ટીવે કહ્યું કે જો કૈશલેસ કરવું જ હોય ભારતને તો માર્કેટને ફ્રી કરવા માટે એક સારો સમય આપવો જોઇએ. ટેક્સ ચોરી રોકવી હોય તો તેનો સૌથી સારો ઉપાય છે ફ્લેટ ટેક્સ કે લો રેટ ટેક્સ સિસ્ટમ. કાનૂની રીતે વેપારને સરળ બનાવો તો લોકો પણ તમારો સાથ આપશે તેવું આ લેખમાં લખવામાં આવ્યું છે.
સરકારની આ છે ખુલ્લી લૂંટ
સ્ટીવે લખ્યું કે ભારતીય અર્થવ્યવસ્થામાં સૌથી વધુ ટ્રાંઝેક્શન કેશમાં થાય છે. સરકાર રિસોર્સ પેદા નથી કરતી જનતા કરે છે. ભારતની નોટબંધીના આ નિર્ણયને ફોર્બ્સે જનતાની સંપત્તિ પર સૌથી મોટી ચોરી ગણાવી હતી. સ્ટીવે લખ્યું કે લોકતાંત્રિક સરકારના આ શોકિંગ નિર્ણયથી જનતાને મોટું નુક્શાન વેઠવું પડ્યું છે. અને આવું કરીને ભારતે દુનિયા સમક્ષ એક ખતરનાક ઉદાહરણ સેટ કર્યું છે.
સ્ટ્રીટ જનરલ
નોંધનીય છે કે સ્ટીવ સિવાય સ્ટ્રીટ જનરલે પણ તેના 22 ડિસેમ્બરના ઇશ્યૂમાં કેશલેશ ઇકોનોમીને જનતા માટે ખતરનાક ગણાવ્યું હતું. કેશલેશ ઇકોનોમીથી સરકારની તાકાત વધી જાય છે અને તે તેનો ખોટો ઉપયોગ પણ કરી શકે છે. આર્ટીકલમાં જણાવ્યું હતું કે કેશલેશ સોસાયટી આર્થિક સ્વતંત્રતા વિરોધી છે.
વડાપ્રધાનની આલોચના
ભારતમાં નોટબંધીના હવે જ્યારે 50 દિવસ થોડાક જ દિવસમાં પૂર્ણ થવાના છે. ત્યારે આજે તે પણ હકીકત છે કે આજે પણ બેંક અને એટીએમ સામે લાંબી લાઇનો લાગી છે અને તેમ છતાં અનેક એટીએમમાં પૈસા નથી. એટલું જ નહીં નોટબંધી પર વિપક્ષ પણ વિરોધ કરી રહ્યો છે અને સરકાર અને આરબીઆઇ વચ્ચેના સંબંધોમાં પણ તણાવના ખબર આવ્યા છે. ત્યારે જો આવનારા સમયમાં નોટબંધીનો આ નિર્ણય મોદી સરકારની મુશ્કેલીઓ વધારશે કે ઓછી કરશે તે તો આવનારો સમય જ કહેશે.