IMના 4 આતંકીની ધરપકડ, મોદી પર હુમલાનું હતું કાવતરું
નવી દિલ્હી, 23 માર્ચ: દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ અને રાજસ્થાન પોલીસના જોઇન્ટ ઓપરેશનમાં ઇન્ડિયન મુજાહિદ્દીન (આઇએમ)ના 4 શંકાસ્પદ આતંકિઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ સૂત્રોનો દાવો છે કે આ શંકાસ્પદ આંતકી લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સહિતના દિગ્ગજ નેતાઓ પર હુમલાનું ષડયંત્ર રચી રહ્યા હતા. દિલ્હી પોલીસે આ ધરપકડ બાદ ગૃહ મંત્રાલયને મોદીની સુરક્ષા વધારવાનો પ્રસ્તાવ આપ્યો છે.
જયપુર અને જોધપુરતી ગિરફ્તાર કરવામાં આવેલા આ આતંકવાદીઓની પાસે 50 કિલો વિસ્ફોટક પણ મળી આવ્યું છે. દિલ્હી પોલીસની સૂચનાના આધારે દિલ્હી અને રાજસ્થાન પોલીસ સાથે મળીને એક અઠવાડીયાથી આ સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી અને તેને તેમાં સફળતા પણ મળી.
આ આતંકીઓની ગિરફ્તારી બાદ રાજસ્થાનમાં હાઇ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. રાજસ્થાનમાં ઘણા સ્થળો પર આતંકિયોની શોધમાં જોઇન્ટ ઓપરેશન હજી પણ જારી છે. ગિરફ્તાર કરવામાં આવેલા આતંકવાદીઓમાંથી એક મોહમ્મદ વકાસ ઉર્ફ મોનુનો પણ સમાવેશ થાય છે. મોહમ્મદ વકાસ 2011 મુંબઇ સીરિયલ બ્લાસ્ટનો આરોપી છે અને તેની પર 10 લાખ રૂપિયાનું ઇનામ પણ છે. સુરક્ષા એજન્સીઓ ઘણા દિવસોથી વકાસની શોધ કરી રહી હતી.
ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદેએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે 'આ આતંકવાદીઓ કોઇ રાજકીય રેલીમાં હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યા હતા, અને તેમાંથી એક આતંકવાદી મોહમ્મદ વકાસની પણ ધરપકડ કરવામાં આવી છે, જે બોમ્બ બનાવવામાં એક્સપર્ટ છે. અને દેશના ઘણા વિસ્ફોટોમાં તેની સામેલગીરી રહી છે.' બાકીની ગુપ્ત માહિતી મીડિયામાં જાહેર કરવાની શિંદેએ ઇનકાર કરી દીધો હતો.
જોકે તેમને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની સુરક્ષા અંગે સવાલ કરતા જણાવ્યું કે 'જ્યારે બિહારમાં તેમની પટણા રેલીમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા હતા ત્યારે જ મેં તેમની સુરક્ષાને લઇને વાત કરી હતી. પરંતુ હવે મોદીને ડરવાની કોઇ જરૂરીયાત નથી.'