હૈદરાબાદ વિસ્ફોટઃ ધમાકા પહેલા ચાર આતંકી આવ્યા'તા ભારત!
તપાસ એજન્સીઓએ આંધ્ર પ્રદેશના મુગલપુરા, ઉપ્પલ, અફજલગંજ સહિતના છ વિસ્તારોમાં રેડ પાડી છે અને તપાસ અભિયાન ચલાવાઇ રહ્યું છે. તપાસ એજન્સીઓને પાકી બાતમીના આધારે રેડ પાડી છે. સૂત્રોનું કહેવું છે કે ગઇ કાલે થયેલા ધમાકાઓમાં આ વિસ્તારોમાં રહેતા કેટલાક લોકોની મહત્વની ભૂમિકા છે. જેને જોતા છ સ્થાનો પર રેડ અને તપાસ અભિયાન ચાલી રહ્યાં છે. હૈદરાબાદમાં ઘટનાસ્થળ પર એનઆઇએ, એનએસજીની ટીમ ફોરેન્સિક પુરાવા એકઠા કરવામાં લાગેલી છે.
બીજી તરફ, દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમ એસપીના નેતૃત્વ હેઠળ હૈદરાબાદ પહોંચી રહી છે. આ ટીમે રેકી કરનારા આતંકવાદીઓની પૂછપરછ કરી હતી. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે લશ્કરના ચાર આતંકી ભારત આવ્યા હતા અને આ આતંકીઓ પાસે ભારતથી પાકિસ્તાન પરત જવા માટેના 25 ફેબ્રુઆરી સુધીના વિઝા હતા. આ મામલે જાસૂસી એજન્સીની ટીમ બેંગ્લોર અને ચેન્નાઇ રવાના થવાની હતી, જેથી તેમને ટ્રેપ કરી શકાય. ધમાકા પહેલા લશ્કરના ચાર આંતકવાદીઓ ભારત આવ્યા હતા.