2000ના મેચ ફિક્સિંગ કેસમાં હેન્સી ક્રોનિયે આરોપી
ક્રોનિયે અને કિશન કુમાર ઉપરાંત લંડનના સટ્ટેબાજ સંજીવ ચાવલા, મનમોહન ખત્તર, દિલ્હીના રાજેશ કાલરા અને સુનીલ દારા ઉર્ફે બિટ્ટૂનું નામ પણ આરોપપત્રમાં છે. આરોપપત્રમાં ક્રોનિયે ઉપરાંત અન્ય કોઇપણ ક્રિકેટ ખેલાડીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
દિલ્હી પોલીસ દ્વારા દાખલ આ 90 પન્નાના આરોપ પત્ર પર મંગળવારે મુખ્ય મહાનગર દંડાધિકારી અમિત બંસલ સમક્ષ વિચારાર્થ રજુ કરવામાં આવશે. બંસલ સોમવારે રજા પર હોવાથી, સોમવારે આરોપપત્ર સહાયક દંડાધિકારી આકાશ જૈન સમક્ષ રજુ કરવામાં આવ્યું.
પોલીસ સૂત્રો અનુસાર આ આરોપપત્ર મુખ્યતઃ કિંગ્સ કમિશનના અહેવાલ, ક્રોનિયેન સ્વિકૃતિ અને ટેપ કરવામાં આવેલી ટેલીફોન પરની વાતચીતના આધારે છે. આ મામલો જ્યારે પ્રકાશમાં આવ્યો હતો, ત્યારે દિલ્હી પોલીસે ક્રોનિયે પર માર્ચ 2000ના રોજ ભારત સામે રમાયેલી વનડે મેચને ફિક્સ કરવાનો આરોપ મુક્યો હતો. એ જ વર્ષે ક્રોનિયેએ કેપટાઉનમાં કિંગ્સ કમિશન દ્વારા કરવામાં આવેલી પૂછપરછ દરમિયાન સટ્ટોડિયાઓ પાસેથી પૈસા લીધા હોવાની વાતનો સ્વિકાર કર્યો હતો.
ત્યારબાદ ક્રોનિયે પર ઓક્ટોબરમાં આજીવન પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.જુન 2002માં ક્રોનિયેનું એક વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. ત્યાર બાદ આ મામલામાથી ક્રોનિયેને અલગ કરી દેવામાં આવ્યો પરંતુ, દિલ્હી પોલીસે આરોપપત્રમાં તેમનું નામ સામેલ કરીને આ મામલાને ફરીથી જીવીત કરી દીધો છે.
દિલ્હી પોલીસનો આરોપ છે કે, ક્રોનિયેએ વર્ષ 2000માં ભારત વિરુદ્ધ પોતાના સાથીઓને ખરાબ રમવા માટે પ્રેરિત કર્યા હતા, કારણ કે તેના બદલામાં તેમને સંજીવ ચાવલા નામના એક ભારતીય મૂળના સટ્ટોડિયા પાસેથી પૈસા મળવાના હતા.
આ મામલામાં બેટ્સમેન હર્શલ ગિબ્સ અને બોલર હેનરી વિલિયમ્સ પર પણ છ મહિનાનો પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આખા મામલાનો જનક કહેવાતો ચાવલા વિદેશમાં રહી રહ્યો છે અને દિલ્હી પોલીસે હવે અદાલતથી બ્રિટેનથી તેનું પ્રત્યાર્પણ માટે અનુમતિ માંગી શકે છે.
ગત 13 વર્ષોથી આ મામલો ઠંડો પડ્યો હતો, પરંતુ ચાલું વર્ષે મેમાં આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગ મામલામાં 29 લોકોની ધરપકડ બાદ પોલીસનું ધ્યાન ફરીથી આ કેસ પર પડ્યું છે.