ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓની મદદ માટે સરકાર મૈદાનમાં, સી આર પાટીલે આશ્વાસન આપ્યું!
ઉત્તરાખંડમાં પુરની સ્થિતી વચ્ચે ગુજરાતીઓ ફસાયા હોવાના પણ સમાચાર આવ્યા હતા. આ સમાચાર બાદ હવે સરકાર મેદાનમાં આવી છે અને ગુજરાતીઓને ગુજરાત પરત લાવવા માટે જરૂરી પગલા ભરી રહી છે.
ઉત્તરાખંડમાં પુરની સ્થિતી વચ્ચે ગુજરાતીઓ ફસાયા હોવાના પણ સમાચાર આવ્યા હતા. આ સમાચાર બાદ હવે સરકાર મેદાનમાં આવી છે અને ગુજરાતીઓને ગુજરાત પરત લાવવા માટે જરૂરી પગલા ભરી રહી છે. આ તમામ બાબતો વચ્ચે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે પણ આશ્વાસન આપ્યુ છે અને સરકાર લોકોની મદદમાં લાગી હોવાનું જણાવ્યું છે.
સી આર પાટીલે આ મુદ્દે ટ્વિટ કરી કહ્યું કે, ઉત્તરાખંડમાં ઘટેલી કુદરતી હોનારત સંદર્ભે પ્રશાસન સાથે સતત ટેલિફોનિક સંપર્કમાં છું. જે યાત્રિકો ફસાયા છે એમનો સંપર્ક કરવાનાં અને ગુજરાતી ભાઇ-બહેનોને સુરક્ષિત સ્થાને પહોંચાડવાનાં પ્રયાસો ચાલી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ સૌની સલામતી માટે સત્વરે યોગ્ય પગલા લેવાઇ રહ્યા છે. આ ઉપરાંત વધુ એક ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ઉત્તરાખંડમાં કુદરતી હોનારતને કારણે જે પ્રવાસીઓ ફસાયા છે એમની સુરક્ષા અને સલામતી માટે માનનીય પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ જે કામ થઇ રહ્યું છે એનાંથી આ તમામ લોકો ખૂબ જલ્દી સલામત રીતે પાછા આવી જશે એવો મને વિશ્વાસ છે.
સી આર પાટીલે એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને ગુજરાતીઓની સલામતીને લઈને આશ્વાસન આપ્યુ હતું. મળતી વિગતો અનુસાર, ઉત્તરાખંડમાં 5 હજાર જેટલા પ્રવાસીઓ ફસાયા છે. ભારે તબાહીને કારણે સરકારે ચાર ધામની યાત્રા પણ સ્થગિત કરી દિધી છે. ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉત્તરાખંડ જતા હોય છે. ત્યારે હવે ગુજરાત સરકાર પણ એક્શનમાં દેખાઈ રહી છે. આ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સાથે વાત કરી ગુજરાતીઓની સલામતી માટે પગલા ભરવા કહ્યું હતું. હવે સી આર પાટીલે સરકાર એક્શનમાં હોવાનું જણાવ્યું છે.
બીજી તરફ એક સમાચાર સુરતના યાત્રીઓના પણ સામે આવ્યા છે. સુરતથી ઉત્તરાખંડ ગયેલા યાત્રીઓ સલામત છે અને યોગ્ય સ્થળે છે. આ યાત્રીઓનો એક વીડિયો સામે આવ્યો છે અને તેમાં તેઓ સલામત હોવાનું જણાવ્યુ હતું. ઉલ્લેખનિય છે કે ઉત્તરાખંંડમાં નૈનિતાલ પાસે વાદળ ફાટવાની ઘટના બાદ સતત તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અત્યારસુધી કુલ 23 લોકોના મોત થઈ ચુક્યા છે. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે. સેના હેલિકોપ્ટર પણ બચાવ કામગીરીમાં જોડાયા છે.