આઈ. કે. ગુજરાલની હાલત અત્યંત નાજુક
જોકે ગુજરાલની હાલત ખૂબ જ નાજુક બતાવાઈ રહી છે. ડૉક્ટરોની એક ટીમ સતત તેમનું ઑબ્જર્વેશન કરી રહી છે. ડૉક્ટરોનું કહેવું છે કે ગુજરાલને ભયંકર ઇન્ફેક્શન થયું છે અને તેઓ બચી શકશે કે કેમ? આ અંગે કઈં કહી શકાતું નથી. ઇંદ્રકુમાર ગુજરાલની ઉંમર 92 વર્ષની છે. તેમેન ગત 19મી નવેમ્બરના રોજ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતાં.
4થી ડિસેમ્બર, 1919ના રોજ જન્મેલ આઈ. કે. ગુજરાલ ભારતના 12મા વડાપ્રધાન રહી ચુક્યાં છે. તેઓ 21મી એપ્રિલ, 1997થી 19મી માર્ચ, 1998 દરમિયાન દેશના વડાપ્રધાન રહ્યા હતાં. આ ઉપરાંત તેઓ કેન્દ્રીય મંત્રી પણ રહી ચુક્યાં છે.
ડૉક્ટરોએ જણાવ્યું કે ગુજરાલની હાલત ખૂબ જ નાજુક છે. તેમને ફેફસાનું ઇન્ફેક્શન છે અને તેમને જીવન રક્ષક પ્રણાલીએ મુકવામાં આવ્યાં છે. ગુજરાલ છેલ્લા એક વરસથી ડાઇલિસિસ પર હતાં. ગુજરાલની હાલત સતત કથળતી જાય છે અને દવાઓ અસર નથી કરી રહી. તેમની કિડનીો પણ કામ નથી કરતી.
મંગળવારે પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ અને સમાજવાદી પક્ષના સાંસદ રામ ગોપાલ યાદવ ગુજરાલને જોવા હૉસ્પિટલે પહોંચ્યાં, તો બુધવારે કોંગ્રેસના પ્રવક્તા શકીલ અહમદ પોતાના સહયોગીઓ સાથે હૉસ્પિટલે જઈ ગુજરાલને જોવા ગયા હતાં.
દરમિયાન સોશિયલ સાઇટ્સ પર ગુજરાલના અવસાનના સમાચારો અફવાઓ તરીકે વહેતા થયાં. આ અફવાઓના ચક્કરમાં વિકીપીડિયા સુદ્ધા આવી ગયું. વિકીપીડિયાએ પણ ગુજરાલના પ્રોફાઇલમાં ગુજરાલના નામની આગળ 4 ડિસેમ્બર, 1919થી 30 નવેમ્બર, 2012 લખી નાંખ્યું. જોકે પછીથી વિકીપીડિયાએ આ ભુલ સુધારી લીધી. ફેસબુક અને ટ્વિટર પર અગાઉ પ્રાણ વિશે પણ આવી અફવાઓ ચલાવાઈ હતી અને આજે ગુજરાલને શ્રદ્ધાંજલિ અર્પવાનો પ્રવાહ શરૂ થયો હતો.