કઠુઆ રેપ કેસઃ નરાધમ બળાત્કારીઓએ પીડિતા સાથે આચરી હતી બર્બરતા
જમ્મૂ, અત્યારે કઠુઆ રેપ કેસને લઇને સોશિયલ મીડિયા પર ભ્રામક સમાચારો વહેતા થયા છે, જેને પગલે જમ્મૂ અને કાશ્મીર પોલીસે એક નિવેદન જાહેર કરી તમામ અટકળો અને શંકાઓ પર પૂર્ણ વિરામ લગાવી દીધું છે.
જમ્મૂ, અત્યારે કઠુઆ રેપ કેસને લઇને સોશિયલ મીડિયા પર ભ્રામક સમાચારો વહેતા થયા છે, જેને પગલે જમ્મૂ અને કાશ્મીર પોલીસે એક નિવેદન જાહેર કરી તમામ અટકળો અને શંકાઓ પર પૂર્ણ વિરામ લગાવી દીધું છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે પોતાના નિવેદનમાં લખ્યું કે પીડિતા સાથે રેપ થયો હતો. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયામાં કેટલાક દિવસોથી એવા સમાચાર વહેતા થયા હતા કે પીડિતા સાથે રેપ થયો જ નથી. ક્રાઇમ બ્રાન્ચે વધુમા કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી મીડિયામાં ખોટી માહિતી પ્રકાશિત અને પબ્લિશ કરવામાં આવી રહી છે. બાળકીને નશીલી દવા આપી તેનો રેપ અને હત્યા થઇ હોવાની ડૉક્ટરોએ પુષ્ટી કરી છે.
દિલ્હીની ફોરેન્સિક સાયન્સ લેબનો રિપોર્ટ
જમ્મૂ અને કાશ્મીરના કઠુઆમાં થયેલી આ દુષ્કર્મની ઘટનાએ આખા દેશને ધ્રૂજાવીને રાખી દીધો છે. દિલ્હીની ફોરેન્સિક સાયન્સ લેબમાં તમામ સબુતોની તપાસ કરવામાં આવી, FSLએ પોતાના રિપોર્ટમાં નોંધ્યું કે મંદિરમાંથી મળેલા લોહીના ધબ્બા બાળકીના જ છે, જેનાથી સાબિત થાય કે બાળકીને મંદિરમાં જ રાખવામાં આવી હતી અને અહીં જ તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
રિપોર્ટમાં રેપની પુ્ષ્ટી
ફોરેન્સિક સાયન્સ લેબના રિપોર્ટમાં પુષ્ટિ કરવામાં આવી છે કે મંદિરમાંથી મળેલ વાળના ડીએનએ આ કેસના આરોપીઓમાના એક આરોપી સુભમ સાંગરાના ડીએનએ સાથે મળી આવ્યા છે. એટલું જ નહીં બાળકીના કપડાં પર મળેલા લોહીના દાગા પણ સુભમના ડીએનએ સાથે મેચ થઇ ગયા છે. રિપોર્ટ મુજબ બાળકીના યોની માર્ગમાંથી પણ લોહી મળી આવ્યું છે.
બાળકીની હત્યા
ઉલ્લેખનીય છે કે 10મી જાન્યુઆરીએ જમ્મૂ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આવેલ રાસના ગામમાં બકરવાલ સમુદાયની 8 વર્ષીય બાળકીનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. એક અઠવાડિયા બાદ ઘરથી થોડે દૂર બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. 10 એપ્રિલે દાખલ કરવામાં આવેલી પોલીસની ચાર્જશીટ મુજબ ગેંગરેપ બાદ બાળકીની હત્યા કરવામાં આવી હતી.
કોર્ટમાં 28મીએ થશે સુનાવણી
કહેવામા આવી રહ્યું છે કે બકરવાલ સમુદાયને ગામથી બહાર કાઢવાના ઇરાદે આ ષડયંત્ર રચવામા આવ્યું હતું. આ મામલે એક સગીર સહિત 8 શખ્સો સામે આરોપો ઘડવામાં આવ્યા છે. તમામની ધરપકડ કરી લેવામાં આવી છે. 28મી એપ્રીલે સેશન્સ કોર્ટ દ્વારા આ મામલાની સુનાવણી હાથ ધરવામાં આવશે.