'પરીક્ષા પે ચર્ચા'ના બદલે પીએમ મોદીએ 'ખિલોને પે ચર્ચા' કરીઃ રાહુલ ગાંધી
'પરીક્ષા પે ચર્ચા'ના બદલે પીએમ મોદીએ 'ખિલોને પે ચર્ચા' કરીઃ રાહુલ ગાંધી
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રવિવારે 11 વાગ્યે મનની વાત કરી દેશની જનતાને સંબોધિત કરી. વાલીઓને અને વિદ્યાર્થીઓને આશા હતી કે વડાપ્રધાન આગામી પરીક્ષા અને કોરોનાના કહેરથી વિદ્યાર્થીઓ બચાવવાના વિકલ્પો પર ચર્ચા કરશે, પણ ઉલ્ટાનું પીએમ નરેન્દ્ર મોદીએ ફરી એકવાર આત્મનિર્ભર ભારત, મોબાઈલ એપ્સ અને રમકડાંઓ પર ચર્ચા કરી આવા નાગરિકોની આશા પર પાણી ફેરવી દીધું છે.
ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ્ ગાંધીએ ટ્વીટ કરતા લખ્યું કે, 'JEE-NEET પરીક્ષામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ ઈચ્છતા હતા કે પીએમ મોદી પરીક્ષા પર ચર્ચા કરે પણ પરંતુ ઉલટાનું પીએમ નરેન્દ્ર મોદીએ રમકડાં પર ચર્ચા કરી.'
જણાવી દઈએ કે નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર બનવા પર ભાર આપતા કહ્યું કે ભારતમાં રમકડાનું માર્કેટ જબરું છે ત્યારે આ ક્ષેત્રે પણ ભારતીયોએ આગળ આવવું જોઈએ આની સાથે જ પીએમ નરેન્દ્ર મોદીએ એવી કેટલીક એપ્લીકેશનનો પણ ઉલ્લેખ કર્યો કે જે ભારતીય નાગરિકો દ્વારા આત્મનિર્ભર ભારત ચેલેન્જ અંતર્ગત બનાવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, દિવસેને દિવસે હરણફાડ દોટ લગાવી રહેલા કોરોના કાળની વચ્ચે કેન્દ્ર સરકારે નીટ અને જી મેન જેવી પરીક્ષાઓ સ્થગિત કે ટાળવાના બદલે સુપ્રીમ કોર્ટમાં પણ આ પરીક્ષા લેવાના પક્ષમાં નિવેદન આપ્યું હતું. જેથી વિદ્યાર્થીઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે. આ મુદ્દે 4000 જેટલા વિદ્યાર્થીઓએ એક દિવસીય ભૂખ હડતાળ પણ કરી હતી પણ સરકારના કાન સુધી આ વિદ્યાર્થીઓની વાત પહોંચી નથી રહી.