મુંબઇમાંથી 26 પાકિસ્તાની નાગરિક ગાયબ, ISI એજન્ટ હોવાની શંકા
26 પાકિસ્તાની નાગરિકો ગાયબ થતાં મુંબઇ પોલીસ દ્વારા મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. એટીએસને શંકા છે કે, તેઓ આઇએસઆઇ એજન્ટ હોઇ શકે છે.
દેશની આર્થિક રાજધાની મુંબઇમાંથી 26 પાકિસ્તાની નાગરિક અચાનક ગાયબ થઇ જતાં મુંબઇ પોલીસ ડિપાર્ટમેન્ટમાં જાણે તોફાન આવ્યું છે. મુંબઇ પોલીસ આ 26 નાગરિકોનો શોધમાં પરોવાઇ ગઇ છે. મહારાષ્ટ્ર પોલીસની એટીએસ ટીમ આ ગાયબ થયેલ પાકિસ્તાની નાગરિકોને દરેક હોટલ, લોજમાં શોધી રહી છે. સૂત્રોની માહિતી અનુસાર મુંબઇ શહેરમાં હાલ હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

એટીએસને ચિંતા છે કે, જો આ 26 પાકિસ્તાની નાગરિકો ગુપ્ત એજન્સિ આઇએસઆઇના એજન્ટ હશે તો આ વાત મુંબઇ માટે જોખમરૂપ સાબિત થઇ શકે છે. જો કે, હાલ કોઇ પણ પોલીસ અધિકારી આ અંગે અધિકારીક રીતે કશુ કહેવા તૈયાર નથી. મહારાષ્ટ્ર એટીએસ ચીફ અતુલ ચંદ્ર કુલકર્ણીએ પણ આ અંગે કશું જ કહેવાની મનાઇ કરી દીધી છે. મીડિયાના અહેવાલો અનુસાર મુંબઇમાં રહેતા 26 પાકિસ્તાની નાગરિકો છેલ્લા 2-3 અઠવાડિયાથી ગાયબ છે.

ભારતમાં આવનારા પાકિસ્તાનના નાગરિકો માટે સી-ફોર્મ ભરવું ફરજિયાત હોય છે, જેમાં પાકિસ્તાની નાગરિકો અંગેની તમામ જાણકારીઓ ભારત સરકારને આપવામાં આવે છે. પાકિસ્તાની નાગરિકનું વતન કયું છે, ભારતમાં કયા સ્થળે કોને મળવા તે ભારત આવે છે અને કેટલા દિવસ ભારતમાં રહેશે, વગેરે જેવી જાણકારીઓ આ ફોર્મમાં ભરવાની રહે છે. ભારત મુલાકાત અંગેની તમામ જાણકારીઓ તેમણે સી ફોર્મ થકી ભારત સરકારને આપવાની રહે છે.
આ નાગરિકોએ સી ફોર્મમાં આપેલ જાણકારી પ્રમાણેના સ્થળો પર જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ત્યાં પાકિસ્તાની નાગરિકો અંગેની કોઇ જાણકારી ન મળી. એટીએસ ટીમ દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ગુપ્ત એજન્સિઓ દ્વારા આ પાકિસ્તાનીઓના ગાયબ થવાની જાણકારી સામે આવી છે.
{promotion-urls}












Click it and Unblock the Notifications
