નરેન્દ્ર મોદી પહોંચ્યા દિલ્હી, PM સાથે કરી 40 મીનીટ મુલાકાત
નરેન્દ્ર મોદીની પ્રધાનમંત્રી સાથેની આ સંયોજક મુલાકાત છે, જેનો કોઇ રાજકિય એજન્ડા નથી પરંતુ તેઓ આ મુલાકાત દરમિયાન ગુજરાતના આર્થિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી સાથેની મુલાકાત બાદ પત્રકારો સાથે વાતચિત કરતા જણાવ્યું કે મિત્રો મોસમની કઠિનાઇ વચ્ચે પણ આપ સૌ આટલીબધી માત્રામાં આવ્યા છો તેના બદલ આપનો આભાર માનું છું. ગુજરાતમાં નવી સરકાર બન્યા બાદ હું પ્રધાનમંત્રીને મળવા આવ્યો હતો, તેમની સાથે સારી મુલાકાત રહી. અમારી વચ્ચે અનેક મુદ્દે વાત થઇ. આદરણીય મનમોહનસિંહે ગુજરાતની ભાજપ સરકારને સફળતા માટે શુભેચ્છા આપી અને ગુજરાત સરકારને મદદ માટે આશ્વાસન આપ્યું છે.
નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે મે પ્રધાનમંત્રીને મળીને એક મેમોરેન્ડમ પણ આપ્યુ છે. જેમાં તેમણે જણાવ્યું કે સરદાર સરોવર પર ગેટ લગાવવાનું કામ ઘણા વર્ષોથી અટકી પડ્યું છે બને તેટલી જલદી પૂર્ણ થાય તેમજ વધારેમાં વધારે ખેડૂતો નર્મદાના પાણીનો ઉપયોગ કરી શકે તેના માટે નર્મદા કેનાલનું કાર્ય જલદી પૂરું થાય તેના માટે મેં પ્રધાનમંત્રીને વિનંતી કરી છે.
આ સાથે મોદીએ જણાવ્યું કે અન્ય રાજ્યોને મળતી સુવિધા પ્રમાણે ગુજરાતને પણ સુવિધા આપવામાં આવે. ગુજરાતને અન્ય રાજ્યની સરખામણીએ વધારે ભાવે ગેસ મળે છે, તો ગુજરાતને પણ અન્ય રાજ્યના ભાવે ગેસ આપવામાં આવે. તેમણે જણાવ્યું કે કોર્ટમાં આ મુદ્દે ગુજરાત સરકાર જીતી ગઇ હતી અને કોર્ટે આદેશ આપ્યો હતો કે ગુજરાતને અન્ય રાજ્યના ભાવે ગેસ મળે. પરંતુ કેન્દ્ર સરકાર સુપ્રિમ કોર્ટમાં ગઇ અને તેની પર સ્ટે લાવી દીધો. મોદીએ જણાવ્યું કે પ્રધાનમંત્રીએ મને આશ્વાસન આપ્યું છે કે તેઓ આ મુદ્દે વ્યક્તિગત ધ્યાન આપશે.
અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીને આજે દિલ્હીની શ્રીરામ કોલેજ ઓફ કોમર્સ તરફથી આમંત્રણ મળ્યું છે. પ્રધાનમંત્રી મનમોહનસિંહ સાથેની મુલાકાત બાદ નરેન્દ્ર મોદી સાંજે શ્રીરામ કોલેજના વિદ્યાર્થીઓની મુલાકાત લેશે જ્યાં તેઓ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરશે.