આજે વિધાનસભામાં બહુમત સાબિત કરશે નિતિશ કુમાર
પટના, 19 જૂન: ભાજપનો સાથ છોડ્યા બાદ બિહારમાં નિતિશ કુમારના નેતૃત્વવાળી જેડીયૂ સરકાર બુધવારે વિધાનસભામાં બહુમતનો દાવો રજૂ કરશે. આ મુદ્દે મુખ્યમંત્રી નિતિશ કુમાર વિધાનસભાના વિશેષ સત્રમાં પ્રસ્તાવ રજૂ કરશે તેના પર ચર્ચા બાદ જરૂરિયાત જણાશે તો મતદાન કરવામાં આવશે.
જો કે આંકડાઓ મુજબ નિતિશ કુમારે ચાર અપક્ષ ધારાસભ્યોના સમર્થનની વ્યવસ્થા કરી દિધી છે, પરંતુ સત્તારૂઢ પક્ષના ધારાસભ્યોના વિશ્વાસઘાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સોમવારે જેડીયૂ નેતાઓના બોલાવવા છતાં ડેહરી ઓન સોનની અપક્ષ ધારાસભ્ય જ્યોતિ રશ્મિ સમર્થનની જાહેરાત કરનાર ચાર અપક્ષ ધારાસભ્યો સાથે મુખ્યમંત્રીના ઘરે બોલાવવામાં આવેલી બેઠકમાં ગઇ ન હતી. જેથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે રશ્મિ વિશ્વાસ મતના વિરૂદ્ધ જઇ શકે છે. તો સિકટાના અપક્ષ ધારાસભ્ય દિલિપ વર્માએ ભાજપ સાથ આપવાની જાહેરાત પહેલાં જ કરી દિધી છે.
બિહાર વિધાનસભાની જે તસ્વીર છે તેનાથી લાગી રહ્યું છે કે નિતિશ કુમાર સદનમાં વિશ્વાસનો મત પ્રાપ્ત કરવામાં સફળતા મેળવશે. 243 સભ્યોવાળી વિધાનસભામાં જેડીયૂના 118 સભ્યો છે જ્યારે તેને ચાર અપક્ષોનું સમર્થન મળી શકે છે. રામવિલાસ પાસવાનની પાર્ટી લોજપાના એક માત્ર સભ્ય જાકિર હુસૈન ખાને પણ નિતિશ કુમારને સમર્થન આપવાની જાહેરાત કરી દિધી છે. બહુમત માટે નિતિશ કુમારની સરકારને 122 સભ્યોના સમર્થનની જરૂરિયાત છે.
વિધાનસભામાં અત્યાર સુધી વિપક્ષની ભૂમિકા ભજવી રહેલા આરજેડીના અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવે આશાના અનુરૂપ સરકારના વિરોધમાં મતદાન કરવાની જાહેરાત કરી છે. જ્યારે નિતિશ કુમારનો રસ્તો સરળ બનાવવા માટે કોંગ્રેસે પરોક્ષ સહયોગની મંશા જાહેર કરી છે. પાર્ટીએ સહાનંદ સિંહને મતદાનમાં ભાગ ન લેવાની જાહેરાત કરી છે. ચાર સભ્યોવાળી કોંગ્રેસના આ પગલાંથી બહુમતનો આંકડો ઘટી જશે.
અન્ય એક અપક્ષ ધારાસભ્ય દિલીપ વર્માએ નરેન્દ્ર મોદીને દેશની જરૂરિયાત જણાવતાં નિતિશ સરકાર વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી છે. જ્યારે અપક્ષ ધારાસભ્ય જ્યોતિ રશ્મિના પતિ પ્રદીપ જોશીએ કહ્યું હતું કે નિતિશ સરકાર દારૂના વેચાણ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરે તો જ્યોતિ સરકાર તેમના પક્ષમાં મતદાન કરી શકે છે.