હવે મોદી નહીં, ભાજપ પર નિશાન, કોંગ્રેસે બદલી વ્યૂહરચના
કોંગ્રેસમાં જેમ જેમ હાર પર મંથનનો દોર ચાલી રહ્યો છે, તેમ તેમ પાર્ટીને પોતાની ભૂલોનો અહેસાસ થઈ રહ્યો છે. પક્ષના નેતાઓ હવે માની રહ્યા છે કે આટલા આક્રમક પ્રચાર છતાંય કેમ જનતાએ તેમને નકાર્યા.
કોંગ્રેસમાં જેમ જેમ હાર પર મંથનનો દોર ચાલી રહ્યો છે, તેમ તેમ પાર્ટીને પોતાની ભૂલોનો અહેસાસ થઈ રહ્યો છે. પક્ષના નેતાઓ હવે માની રહ્યા છે કે આટલા આક્રમક પ્રચાર છતાંય કેમ જનતાએ તેમને નકાર્યા. ક્યાંક તો તેમની વ્યૂહરચનામાં ભૂલ થઈ જ છે. એવી માહિતી સામે આવી રહી છે કે પક્ષમાં અંદર ખાને એ વાત સ્વીકારાઈ રહી છે કે પીએમ મોદી અને મોદી સરકાર પર સીધું નિશાન સાધવું કોંગ્રેસને મોંઘું પડ્યું છે. એટલે હવે પાર્ટીએ સકારાત્મક વિપક્ષની ભૂમિકા નિભાવવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો: અલીગઢની ઘટનાથી ગુસ્સામાં પ્રિયંકા ગાંધી, ટ્વીટ કરીને કહી આ વાત
કોંગ્રેસ હવે આટલું કામ નહીં કરે
લોકસભા ચૂંટણીમાં પીએમ નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપની પ્રચંડ જીત અને પોતાની કારમી હાર જોયા બાદ કોંગ્રેસે પીએમ મોદી અને તેમની સરકાર પર સીધા હુમલા નહીં કરવાની રણનીતિ ઘડી છે. હવે કોંગ્રેસ મોદી અને મોદી સરકારને ઘેરવાના બદલે ભાજપ સરકાર કહીને ઘેરવાની નીતિ અપનાવશે. તથ્ય એ છે કે પાછલી સરકારમાં કોંગ્રેસના સામાન્ય કાર્યકર્તાઓ પણ સ્થાનિક મુદ્દામાં સીધા પીએમ મોદી કે મોદી સરકાર પર જ પ્રહાર કરતા હતા. એટલું જ નહીં કોંગ્રેસ હવે કોઈ વ્યક્તિ પર નિશાન સાધવાથી પણ બચશે. કોંગ્રેસ કોઈ વ્યક્તિને ત્યારે જ નિશાન બનાવશે જ્યારે મુદ્દો કોઈ વ્યક્તિને લગતો હોય.
તો કોંગ્રેસે માન્યું કે રાહુલ ગાંધી જ હાર માટે છે જવાબદાર !
પરિણામો બાદ કોંગ્રેસે માની લીધું છે કે પીએમ મોદી પર સીધા પ્રહાર કરવાથી જ નુક્સાન થયું છે. રાફેલ મામલે ખુદ કોંગ્રેસ અધ્ય રાહુલ ગાંધીએ મોદી વિરુદ્દ ચોકીદાર ચોર હૈના કેમ્પેઈનને લીડ કર્યું હતું. આ માટે તેમણે સુપ્રીમ કોર્ટના એક ચુકાદાને પણ જાહેરમાં ટ્વિસ્ટ કરીને રજૂ કર્યું હતું, જેનું પરિણામ પણ ભોગવવું પડ્યું જો કે હજી તે માનવા તૈયાર નહોતા. તેમણે તો પીએમ મોદીની છબી ખરાબ કરવાના દાવા પણ કર્યા હતા. તેમણે પાર્ટીમાં મીડિયા સંભાળવાની જવાબદારી જેને સોંપી હતી તે રણદીપ સુરજેવાલા પણ કોઈ આધાર વગર પીએમ મોદીને નિશાન બનાવવાની તક નહોતા છોડતા. હવે કોંગ્રેસને આ ભૂલનો અહેસાસ થઈ રહ્યો છે. એટલે કે કોંગ્રેસના નેતાઓને હવે લાગી રહ્યું છે કે રાહુલ ગાંધીની રણનીતિ જ પાર્ટીને લઈ ડૂબી. હવે કોંગ્રેસ માને છે કે પીએમ મોદી અને તેમના નેતૃત્તવમાં ભાજપ જે રીતે આટલું મોટું મેન્ડેટ લઈને આવી છે, ત્યારે માહોલ તેમના પક્ષમાં છે. ત્યારે જો નકારાત્મક આરોપ લાગશે તો કોંગ્રેસને જ વધુ નુક્સાન થશે.
હવે કોંગ્રેસ ઉઠાવશે આવા મુદ્દા
માહિતી એવી સામે આવી રહી છે કે કોંગ્રેસ હવે સામાન્ય લોકોના જીવન સાથે જોડાયેલા જ મુદ્દા ઉઠાવશે. કોંગ્રેસ પ્રજા વચ્ચે પોતાને સકારાત્મક વિપક્ષ તરીકે રજૂ કરશે. કોંગ્રેસના લોકો માને છે કે હવે સમય અંદર અંદર ઝઘડવાનો નથી. પક્ષે સંસદની અંદર અને બહાર જવાબદાર વિપક્ષ તરીકે સામે આવવું પડશે. અને જનતાને લગતી સમસ્યાઓ રજૂ કરવી પડશે.
બદલાયેલી વ્યૂહરચનાનો અમલ નથી આસાન
કોંગ્રેસની અંદર જે સકારાત્મક વિપક્ષનો વિચાર શરૂ થયો છે, તે સમયની જરૂરિયાત છે. પરંતુ કોંગ્રેસ આ નીતિ પર કેટલા દિવસ ચાલી શક્શે તે સૌથી મોટો સવાલ છે. 2014માં ત્રણ દાયકા બાદ કોઈ પક્ષને સંપૂર્ણ બહુમતી મળી હતી અને કોંગ્રેસ ઐતિહાસિક રીતે નીચલા સ્તરે પહોંચી હતી. પરંતુ શરૂઆતી મંથન બાદ પાર્ટીના નેતાઓ ફરી ટ્રેક ચૂક્યા. મોદીની આગેવાનીમાં ભાજપ ઝડપથી એ વિસ્તારમાં વિસ્તરવા લાગી જે એક સમયે કોંગ્રેસ કે લેફ્ટનો ગઢ હતો. પંરતુ કોંગ્રેસ તેનાથી શીખ ન મેળવી શકી. તેણે કર્ણાટક વિદાનસભામાં હાર જોઈ. મોદી વિરુદ્ધ તમામ પ્રકારની હવા ચતાંય ગુજરાતમાં ભાજપ જીત્યું. મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ચૂંટણીમાં મોદીના કારણે જ ભાજપ કોંગ્રેસ સામે ટકી શકી. છત્તીસગઢમાં ત્રણ ટર્મ સુધી સરકાર ચલાવ્યા બાદ એન્ટી ઈન્કમબન્સીને કારણે રમણસિંહની સરકાર ગઈ. પરંતુ કોંગ્રેસ અને તેના નેતાઓએ માની લીધું કે મોદીનો જાદુ ઓસરી ચૂક્યો છે. અને રાહુલ ગાંધી હુકમનો એક્કો સાબિત થઈ રહ્યા છે. જો કોંગ્રેસે પાછલી ચૂંટણીઓનું યોગ્ય વિશ્લેષણ કરીને લોકસભા માટે રણનીતિ બનાવી હોત, તો કદાચ આજે કોંગ્રેસ સારી સ્થિતિમાં હોત. હવે જોવાનું એ છે કે રાહુલ ગાંધી અને તેમની ટીમ ક્યાં સુધી સકારાત્મક વિપક્ષની ભૂમિકામાં દેખાય છે ? કારણકે હજી પણ 52 સાંસદો સાતે તે ઈંચ ઈંચ પર લડવાન વાત કરી રહ્યા છે. તો શું વિપક્ષમાં રહેવાનો અર્થ ફક્ત સરકાર સામે લડવાનો છે કે તેઓ સરકારની ગાઈડની ભૂમિકા પણ ભજવી શકે છે. હવે જો ખરેખર કોંગ્રેસમાં પરિવર્તન આવ્યું તો તે ભારતીય લોકશહાી માટે સારો સંકેત હશે.