રાહુલ વિમાન દુર્ઘટના, કોંગ્રેસે લગાવ્યો ષડયંત્રનો આરોપ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વિમાનમાં જેવી રીતે અચાનક ખરાબી આવી તે બાદ કોંગ્રેસે આ ઘટના પાછળ ષડયંત્રનો આરોપ લગાવ્યો છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વિમાનમાં જેવી રીતે અચાનક ખરાબી આવી તે બાદ કોંગ્રેસે આ ઘટના પાછળ ષડયંત્રનો આરોપ લગાવ્યો છે. વિમાન આકાશમાં એક તરફ ઝૂકી ગયુ હતુ જેના કારણે વિમાનમાં પ્રવાસ કરી રહેલા લોકોના જીવ જોખમમાં મૂકાઈ ગયા હતા. આ ઘટના એ સમયે બની જ્યારે રાહુલ ગાંધી કર્ણાટક વિધાનસભાના ચૂંટણી પ્રચાર માટે હુબલી જઈ રહ્યા હતા. ઘટના બાદ રાહુલ ગાંધીના કાર્યાલયે કર્ણાટક પોલિસને ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે આ વીવીઆઈપી વિમાનમાં રાહુલ ગાંધી સહિત કુલ ચાર લોકો પ્રવાસ કરી રહ્યા હતા, જેમાં આચાનક ટેકનિકલ ખામી સર્જાઈ ગઈ. આ ઘટનાની તપાસ થવી જોઈએ કે કોઈએ જાણી જોઈને કર્યુ છે કે નહિ. આ ઘટના પાછળ ષડયંત્રનો ઈનકાર કરવામાં નથી આવી રહ્યો. આ દુર્ઘટના બાદ પાયલટ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.
ઘટના બાદ વિમાનને હુબલીમાં સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યું અને બધા પ્રવાસીઓને સુરક્ષિત રીતે વિમાનની બહાર લાવવામાં આવ્યા. ત્યારબાદ વિમાનને સીઝ કરી લેવામાં આવ્યુ અને પાયલટની પૂછપરછ કરવામાં આવી. જાણકારી મુજબ વિમાનનો ઓટો પાયલટ મોડ કામ નહોતો કરી રહ્યો જેના કારણે આ સમસ્યા સર્જાઈ. આ ઘટના બાદ નાગરિક વિમાનન મહાનિર્દેશાલયે તપાસનો આદેશ આપ્યો છે. ઘટના બાદ કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલે કહ્યું કે એક ગંભીર દુર્ઘટના ઘટતા બચી ગઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ રાહુલ ગાંધીને ફોન કરીને તેમના ખબર અંતર પૂછ્યા હતા.
રાહુલ ગાંધીના સાથી કૌશલ વિદ્યાર્થીએ કર્ણાટકના ડીજી અને આઈજીને આ અનુસંધાનમાં ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે દિલ્હીથી ઉડાન ભરતા વિમાનમાં કંઈક ગરબડ અનુભવાઈ હતી. ફરિયાદપત્રમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો કે ઉડાન દરમિયાન પ્રવાસીઓના જીવ પણ જોખમમાં મૂકાઈ ગયા હતા. હું નવી હિલ્હીથી કર્ણાટકના હુબલી એરપોર્ટ જતી સ્પેશિયલ ફ્લાઈટમાં પ્રવાસ કરી રહ્યો હતો મારી સાથે 4 અન્ય પ્રવાસીઓમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, રામપ્રીત, રાહુલ રવિ અને રાહુલ ગૌતમ (એસપીજી ઓફિસર) પણ હતા. ફ્લાઈટે લગભગ સવારે 9.20 વાગે નવી દિલ્હીથી ઉડાન ભરી અને તે લગભગ 11.45 વાગે હુબલી એરપોર્ટ પર ઉતરાણ કરવાની હતી. પ્રવાસ દરમિયાન અસ્પષ્ટ ટેકનિકલ ખામીઓ સર્જાઈ. પ્રવાસ દરમિયાન લગભગ 10.45 વાગે વિમાન ડાબી તરફ ઝૂકી ગયુ અને ઝટકા સાથે નીચે જવા લાગ્યું જ્યારે આ બધી ઘટના બની રહી હતી ત્યારે બહારનું હવામાન સામાન્ય હતું. આટલું જ નહિ ફ્લાઈટનું ઓટો પાયલટ મોડ કામ નહોતુ કરતું.