બિહાર BJPમાં બળવો : 40 BJP ધારાસભ્યો JDUના સંપર્કમાં
પટના, 22 જુલાઇ : બિહાર ભાજપમાં તેના વરિષ્ઠ નેતા સુશીલ મોદી વિરુદ્ધ ધારાસભ્યોએ બળવો પોકાર્યો છે.સુશીલ મોદી વિરુદ્ધ મોરચો ખોલનારા હાયાઘાટના ધારાસભ્ય અમરનાથ ગામીને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ભાજપ માટે આ બાબત એટલા માટે માથાનો દુ:ખાવો બની છે કેમ કે ગામીના સમર્થનમાં ભાજપના કેટલાક ધારાસભ્યો આગળ આવ્યા છે. ભાજપે આ બળવા માટે જેડીયુ અને તેના નેતા નીતિશ કુમારને જવાબદાર ગણાવ્યા છે.
બિહાર પ્રદેશ ભાજપના અધ્યક્ષ મંગલ પાંડેએ જણાવ્યું કે જેડીયુમાં સંભવિત બળવાને કારણે નીતિશ કુમાર ગભરાયેલા છે. જેના કારણે તે ભાજપના ધારાસભ્યોને મંત્રી પદ સહિતની વિવિધ લાલચ આપી પોતાની તરફ ખેંચી રહ્યા છે. જો નીતિશમાં ખરેખર હિંમત હોય તો કેબિનેટનો વિસ્તાર કરીને બતાવે.
બીજી તરફ જેડીયુના વરિષ્ઠ નેતા નરેન્દ્ર સિંહે દાવો કર્યો કે ભાજપના 42 અને આરજેડીના 17 ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. અમે ધાર્યું તે દિવસે પક્ષોને તોડી દઇશું. તેના ધારાસભ્યોને જેડીયુમાં સામેલ કરી લઇશું.
આના જવાબમાં સુશીલ કુમાર મોદીએ જણાવ્યું કે જો તેમની પાર્ટી તૂટશે તો અન્ય પાર્ટી પણ તેમાંથી બચી શકશે નહીં. જેટલી વિકેટો અહીં પડશે તેટલી જ અન્ય પાર્ટીઓમાં પણ પડશે. સુશીલ કુમાર મોદીની વિરુદ્ધ નિવેદન આપ્યા બાદ અમરનાથ ગામીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
પાર્ટીની બેઠકમાં ગામીએ સુશીલ કુમાર પર આરોપ લગાવ્યો હતો કે "તેમણે પાર્ટીને હાઇજેક કરી લીધી છે. મોદીએ પોતાની આગળ કોઇને નિકળવા દીધા નથી. તેમણે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ નારાયણ સિંહ અને ડૉ સીપી ઠાકુરની ટાંગ મારવાનું કામ કર્યું છે." ગામીએ એમ પણ જણાવ્યું હતું કે તેઓ પક્ષ નહીં છોડે અને પાર્ટીમાં રહીને જ પોતાનો સંઘર્ષ ચાલુ રાખશે.