શિવસેનાની ધમકીથી ડરશે નહી રેણુ, ફેસબુક પર એક્ટિવ
મુંબઇ, 28 નવેમ્બર: શિવસેના પ્રમુખ બાલા સાહેબ ઠાકરેના નિધન બાદ ફેસબુક મુંબઇ બંધ પર કોમેન્ટ કરનાર પલઘરની શાહીન ઢાઢા અને પોસ્ટને લાઇક કરનાર રેણુ શ્રીનિવાસને ડરના માર્યે પોતાના ફેસબુક એકાઉન્ટને ડિલેટ કરી દિધા હતા. જ્યારે હવે રેણુ શિવસેનાની ધમકીઓથી ડરશે નહી. જી હાં તે હવે ફરીથી ફેસબુક પર આવી ગઇ છે.
રેણુએ ફેસબુક એકાઉન્ટ બનાવી લીધું છે અને તેનો એક ફોટો પણ પોસ્ટ કર્યો છે. રેણુએ પોતાની પ્રથમ પોસ્ટમાં લખ્યું છે કે 'હું ખૂબ થાકી ગઇ છું, પરંતુ હવે મેં લડાઇ લડવાનું નક્કી કરી લીધું છે. હું ફેસબુક પર પાછી આવી ગઇ છું, મે મારો લેસેસ્ટ ફોટો પણ અપલોડ કર્યો છે, જે મેં દિલ્હીમાં ક્લિક કર્યો હતો. 21 વર્ષીય રેણુએ મીડિયાને કહ્યું હતું કે આટલા દિવસો દરમિયાન મે આ પ્રકરણ વિશે ઘણુ વિચાર્યું છે. મને લાગે છે કે મે લાઇક બટન પર ક્લિક કરીને કશું ખોટું કર્યું નથી. મને લાગે છે કે તે માટે મારે માફી પણ માંગવી ન જોઇએ, જે મેં માંગી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકરણને લઇને શિવસેનાએ આજે પલઘરમાં બંધનું એલાન જાહેર કર્યું છે. હકિકતમાં શિવસેનાએ આ બંધ મહારાષ્ટ્ર સરકાર વિરૂદ્ધ કર્યું છે, કારણ કે શાહિન અને રેણુની ધરપકડ કરનાર બે પોલીસ અધિકારીઓને સસ્પેંડ કરવામાં આવ્યાં છે.
તો બીજી તરફ પલઘરમાં વર્તમાન સ્થિતિ જોઇએ તો બુધવારે આખુ મુંબઇ ધમધમાટ દોડી રહ્યું છે ત્યારે પલઘરમાં સન્નાટો છવાયેલો છે. જો કે પરિસ્થિતીને જોતા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે શિવસેના પ્રમુખ બાલ ઠાકરેના અંતિમ સંસ્કારના દિવસે શાહીને ફેસબુક પર પોસ્ટ કર્યું હતું કે ભારતમાં દરરોજ હજારો લોકો જન્મ લે છે અને મૃત્યું પણ પામે છે. ત્યારે આ પ્રકારનું બંધનું એલાન કેટલું યોગ્ય છે. આ કમેન્ટને તેની બહેનપણી રેણુએ લાઇક કરી હતી. ત્યારબાદ બંનેને પોલીસે કલમ 295 (એ) અને આઇટી એક્ટ 2000ની કલમ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી હતી.