મોદીની યાત્રા પર ત્રાસવાદી હુમલાની દહેશત
આઈબીએ ગુજરાત સરકારને ચેતવણી આપતાં જણાવ્યું છે કે લશ્કર-એ-તોયબા મોદીની સભાઓ દરમિયાન બૉમ્બ વિસ્ફોટો કરી શકે છે અને તેને માટે લશ્કરના કેટલાંક આતંકવાદીઓ ગુજરાતમાં ઘુસી પણ ચુક્યાં છે. આઈબી તરફથી માહિતી મળતાં જ દક્ષિણ ગુજરાતનાં કેટલાંક વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું છે.
નોંધનીય છે કે આ વર્ષનાં અંતે ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીઓ થવાની છે, જેને માટે મોદીએ 11મી સપ્ટેમ્બરથી મેહસાણાના બહુચરાજી ખાતેથી આ યાત્રા શરૂ કરી છે. યુવાનોને આકર્ષિત કરવા માટે મોદીની રથ યાત્રા 11મી ઑક્ટોબર સુધી ચાલશે.
આઈબીની આ ચેતવણી બાદ સમગ્ર રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સરહદી વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પોલીસને કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની તાત્કાલિક ધરપકડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
અગાઉ પણ આતંકવાદી સંગઠનોએ મોદીને પોતાના નિશાન બનાવવાની કોશિશ કરી હતી. આ વખતે પણ મોદીની સભાઓ દરમિયાન બૉમ્બ વિસ્ફોટનું ષડયંત્ર રચ્યું છે, પણ આઈબીની સતર્કતાને પગલે હવે રાજ્ય સરકાર અને પોલીસ એલર્ટ થઈ ગઈ છે.