નાગપુર, 9 મે : લોકસભા ચૂંટણી 2014નો અંતિંમ દોર ચાલી રહ્યો છે. ત્યારે પક્ષપલટાની મોસમ પણ ખીલી છે. ચૂંટણી પરિણામો જાહેર થતા જ આ મોસમમાં બહાર આવશે એમ માનવામાં આવે છે. જેમાં નાના નેતાઓની સાથે કેટલાક મોટા માથાઓ પણ પક્ષ પલટાની તૈયારી કરી રહ્યા હોવાની ચર્ચા ચાલી છે. આ ચર્ચામાં એક નામ એનસીપીના નેતા પ્રફુલ પટેલનું પણ છે.
મહારાષ્ટ્રના ગોંદિયામાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે પોતાનું પ્રધાનપદ જાળવી રાખવા માટે પ્રફુલ પટેલ એનસીપીને આવજો કહીને ભાજપમાં જોડાઇ શકે છે. એનસીપીના અધ્યક્ષ અને શરદ પવારના અત્યંત વિશ્ર્વાસુ મનાતા કેન્દ્રીય પ્રધાન પ્રફુલ્લ પટેલ બીજેપીમાં જોડાઈ જશે એવી શક્યતાઓ પાછળ એવું કારણ દર્શાવવામાં આવી રહ્યું છે કે આ ચૂંટણીમાં યુપીએ ફરી સરકાર બનાવી ના શકી તો કેન્દ્રમાં ગમે તેની સરકાર આવે તો પણ ગોંદિયામાં કેન્દ્રીય પ્રધાન પદ જળવાઇ રહેશે.
હાલ આ શક્યતાઓને સત્તાવાર સમર્થન ન હોવા છતાં આ ચર્ચાએ જોર પકડ્યું છે. આમ છતાં આ પક્ષપલટાને મહત્વનો માનવામાં આવી રહ્યો છે. આ પાછળ કયું ગણિત કામ કરી રહ્યું છે અને મહારાષ્ટ્રનું સમીકરણ કેવી રીતે જવાબદાર બની શકે છે તે જોઇએ.
કહેવાય છે કે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને પવારના ભત્રીજા અજિત પવાર સાથે પટેલના સંબંધો વણસ્યા હોવાનું લાંબા સમયથી પાર્ટીના બધા લોકો જાણે છે. બીજી તરફ ગોંદિયાની બેઠક પરથી બીજેપીની ટિકિટ પર લડી રહેલા નાના પટોલેના પ્રચાર માટે મોદીની રેલીની બે વખત જાહેરાત કરવામાં આવી અને પછી તે રદ કરવામાં આવી તેની પાછળ પણ પ્રફુલ પટેલનું ભાજપમાં જોડાવાની શક્યતાનું કારણ જવાબદાર હોવાનો દાવો પટેલના સમર્થકો કરી રહ્યા છે.