#Budget2018 અંગે કોણે શું કહ્યું? વાંચો અહીં
બજેટ 2018 અંગે પીએમ મોદીએ શું કહ્યું?સીએમ યોગી, સીએમ ફડણવીસ અને અન્ય કેન્દ્રિય મંત્રીઓની પ્રતિક્રિયાવિગતવાર વાંચો અહીં...
નાણાંકીય વર્ષ 2018-19 માટેનું કેન્દ્રિય બજેટ રજૂ થઇ ચૂક્યું છે અને હવે આ અંગે નેતાઓની પ્રતિક્રિયાઓ પણ આવવા માંડી છે. કોંગ્રેસ નેતાઓ તરફથી નકારાત્મક પ્રતિક્રિયાઓ મળી રહી છે, ત્યાં બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાણાં મંત્રી અરુણ જેટલીને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, હું અરુણ જેટલી અને તેમની આખી ટીમને આ બજેટ માટે અભિનંદન પાઠવું છું. આ બજેટમાં દેશની કૃષિથી લઇને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધીની તમામ બાબતો પર ધ્યાન આપવામાં આવ્યું છે. પીએેમ મોદીએ આ બજેટને વિકાસ ફ્રેન્ડલી અને ન્યૂ ઇન્ડિયાનું બજેટ ગણાવ્યું હતું. આ સિવાય અન્ય નેતાઓએ બજેટ અંગે શું કહ્યું, વાંચો અહીં...
'ગરીબો અને ખેડૂતો પર ફોકસ'
રેલવે મંત્રી પિયુષ ગોયલે બજેટ અંગે કહ્યું કે, આ બેલેન્સ્ડ બજેટ છે. સમાજના દરેક વર્ગ માટે કંઇક છે. ખાસ કરીને ખેડૂતો અને ગરીબોને આરોગ્ય સેવા આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ બજેટ અર્થવ્યવસ્થાને પણ બૂસ્ટ કરશે. હું બજેટ માટે પીએમ મોદી અને અરુણ જેટલીને અભિનંદન પાઠવું છું. તો કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે, હું વિશ્વની સૌથી મોટી હેલ્થ પ્રોટેક્શન સ્કિમની ઘોષણા માટે પીએમ મોદીને અભિનંદન પાઠવું છું. આ બજેટ ગરીબો, વૃદ્ધો અને મહિલાઓ અને ખેડૂતોના વિકાસ અને ખેડૂતોની આવક વધારવા માટે છે.
CM નીતીશ કુમાર, CM યોગીએ પાઠવ્યા અભિનંદન
ભાજપના સહયોગી જદયૂના અધ્યક્ષ અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે મોદી સરકારના બજેટ માટે અભિનંદન પાઠવતાં કહ્યું કે, સરકારે સ્વાસ્થ્યના ક્ષેત્રે ઘણી સારી ઘોષણા કરી. 10 કરોડ પરિવારને ચિકિત્સાના ક્ષેત્રમાં પાંચ લાખ રૂપિયાની મદદ આપવામાં આવશે. આ માટે અમે સરકારને અભિનંદન પાઠવીએ છીએ. યુપીના સીએમ યોગી આદિત્યનાથે પણ પીએમ તથા નાણાં મંત્રીને અભિનંદન પાઠવતાં કહ્યું હતું કે, બજેટમાં દેશના ગરીબો, ગામડાઓ, ખેડૂતો, વૃદ્ધોને ધ્યાનમાં રાખીને ઉત્તમ યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
'દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા ઘોષણા'
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાણાં મંત્રી અરુણ જેટલીને અભિનંદન આપતા આ બજેટને સૌનો સાથ, સૌનો વિકાસવાળું બજેટ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ખેડૂતોને તેમના પાકની દોઢગણી કિંમત આપવાની ઘોષણા, 50 કરોડ લોકોને સ્વાસ્થ્ય વીમો આપવાની ઘોષણા માટે અભિનંદન. આ દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમાની ઘોષણા છે. આ બજેટને પૂર્ણ રૂપે જોઇએ તો તે ખેડૂતો, મહિલાઓ, યુવાઓ અને ગરીબો માટે છે. 10 કરોડ યુવાઓ મુદ્રા યોજનાનો લાભ મેળવી ચૂક્યા છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રી નીતીન ગડકરીએ પણ કહ્યું કે, 10 કરોડ પરિવારને 5 લાખનું મેડિકલ ઇન્સ્યોરન્સ એ મોટી પહેલ છે. આ ઐતિહાસિક બજેટ છે.
'વિપક્ષ નિરાશાવાદી બન્યો છે'
બજેટ અંગે કોંગ્રેસની નકારાત્મક પ્રતિક્રિયા વિશે બોલતાં કેન્દ્રિય મંત્રી એમજે અકબરે કહ્યું કે, 1 કલાક 45 મિનિટના બજેટ ભાષણમાં 1 કલાક ગરીબો માટે ફાળવવામાં આવ્યો. આ ખરેખર ઐતિહાસિક છે. વિપક્ષ વધારે પડતો નિરાશાવાદી બની રહ્યો છે. તો બીજી બાજુ ગૃહ મંત્રી રાજનાથ સિંહે આને ગ્રાન્ડ બજેટ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આ ગ્રાન્ડ બજેટ છે. ગરીબો, ખેડૂતો અને આદિવાસીઓ માટે અનેક જાહેરાતો કરવામાં આવી. આ બજેટ ભારતને ગ્લોબલ ઇકોનોમિક પાવર તરીકે સ્થાપશે.