હવે સ્વચ્છ છબી બનાવવા UPA સરકાર જાહેરાતો પાછળ ખર્ચશે 180 કરોડ
મનમોહન સરકારના પાઠલા 9 વર્ષના કાર્યકાળમાં કરવામાં આવેલા કાર્યોને મૌન ક્રાંતિ ગણાવીને માહિતી અને પ્રસારણ પ્રધાન મનીષ તિવારીએ "ભારત નિર્માણ" નામથી એક પ્રચાર-પ્રસાર અભિયાન છેડવાની જાહેરાત કરી હતી.
યુપીએ-2 સરકારની ચોથી વર્ષગાંઠે સરકાર 'ગ્લિમ્પસિસ ઓફ ધ ઇન્ડિયા સ્ટોરી' નામથી એક દેશવ્યાપી પ્રચાર અભિયાન શરૂ કરી રહી છે. તેમાં યુપીએ સરકારની જનકલ્યાણ સાથે જોડાયેલી યોજનાઓનો અમલ અને દેશના વિકાસમાં તેનું યોગદાન કેવું રહ્યું તે બાબત સામાન્ય જનતા સમક્ષ મૂકવામાં આવશે.
મનીષ તિવારીએ સોમવારે સરકારની અગ્રણી યોજનાઓ પર આધારિત એક જાહેરાતની સીડીનું વિમોચન કર્યું હતું. જો કે મનીષ તિવારીએ આ પ્રચાર અભિયાનની તુલના એનડીએ સરકારના ઇન્ડિયા શાઇનિંગ કેમ્પેઇન સાથે કરવું અયોગ્ય ગણાવ્યું હતું. તેમનું કહેવું છે કે આમાં ઇન્ડિયા શાઇનિંગ જેવી સપનાની વાતોને બદલે વાસ્તવિક પરિવર્તનોને દર્શાવવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યું કે યુપીએ સરકારના સમયમાં સામાન્ય જનતાના અધિકાર પર આધારિત યોજનાઓ અને કાયદાઓ આપીને દેશમાં મૌન ક્રાંતિનો માહોલ બન્યો છે. તેમણે જણાવ્યું કે અમે કર્ણાટકમાં જનતાની વિચારધારાની એક ઝલક જોઇ છે. અમને આશા છે કે વર્ષ 2004 અને 2009ની જેમ 2014માં પણ જનતા અમને સારું કામ કરવાની તક પૂરી પાડશે.
આ જાહેરાત પ્રચાર અભિયાનમાં સરકારે એ બાબતનું ખાસ ધ્યાન રાખ્યું છે કે તે એનડીએના ઇન્ડિયા શાઇનિંગ જેવું ના હોય. આમ છતાં કેન્દ્ર સરકારે આ જાહેરાત અભિયાન પાછળ કરેલા 180 કરોડ રૂપિયાના ભારે ખર્ચને લઇને વિવાદ ઉભો થયો છે. આ અભિયાનને કારણે વર્ષ 2013-14માં ડીએવીપીનું વાર્ષિક બજેટ વધીને 600 કરોડ રૂપિયા થઇ જશે.
પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2004માં ઇન્ડિયા શાઇનિંગ પાછળ તત્કાલીન એનડીએ સરકારે રૂપિયા 150 કરોડનો ખર્ચ કર્યો હતો. વર્ષ 2009માં ચૂંટણી પહેલા યુપીએ-2 સરકારે 35 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. ભારત નિર્માણ થીમ પાછળ પણ સરકારે ઘણી મહેનત કરી છે. જાવેદ અખ્તર લિખિત ગીતના શબ્દો 'મીલોં હમ આ ગયે, મીલોં હમે ચલના હૈ... કુછ સપને પા લિયે, કુછ અભી પાના હૈ...'માં કંઠ્યસ્વર સુનિધિ ચૌહાણ અને શાને આપ્યા છે.