વારાણસી: બાબા જય ગુરુદેવના કાર્યક્રમમાં નાસભાગ, 18 ના મોત
બાબા જય ગુરુદેવના એક કાર્યક્રમમાં નાસભાગ મચી જતા 18 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. 20 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં 5 લોકોની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે.
ચંદોલી-વારાણસી બૉર્ડર પર બની ઘટના
વારાણસીમાં બાબા જય ગુરુદેવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જણાવવામાં આવે છે કે આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ દરમિયાન અચાનક નાસભાગ મચી જતા 18 લોકોના મોત નીપજ્યા છે. આ ઘટનામાં 20 લોકો ઘાયલ બતાવવામાં આવી રહ્યા છે. ઘાયલોમાં 5 લોકોની હાલત ગંભીર છે. વારાણસી-ચંદોલી બૉર્ડર પાસે સ્થિત રાજઘાટ પુલ પર આ નાસભાગ મચી ગઇ હતી. આ તરફ મુખ્યમંત્રી અખિલેશ યાદવે વળતરની રકમ જાહેર કરી છે.
સીએમ અખિલેશ યાદવે કરી વળતરની જાહેરાત
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે મૃતકના પરિવારજનોને બે-બે લાખ રુપિયાના વળતરની જાહેરાત કરી છે. આ તરફ એડીજી લખનૌ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યુ છે કે પ્રશાસનની બેદરકારી અને આટલા મોટા કાર્યક્રમમાં પૂરતી તૈયારીઓના અભાવના કારણે નાસભાગ મચી ગઇ છે. સાંસદ અને કેન્દ્રીય મંત્રી મહેન્દ્રનાથ પાંડે એ સમગ્ર મામલે રાજ્ય સરકારને ઘેરી લીધી છે. કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્રનાથ પાંડે એ નાસભાગ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. તેમણે આ મામલે દોષિત અધિકારીઓ પર કાર્યવાહી કરવાની માંગ કરી છે.