આ 7 ખાસ વાતોના કારણે 2014થી અલગ છે મોદીનો શપથ ગ્રહણ સમારંભ
ચાલો જાણીએ છીએ કે વર્ષ 2014ના શપથ ગ્રહણ અને વર્ષ 2019ના શપથ ગ્રહણ સમારંભમાં મુખ્ય શું ફેરફાર છે...
પીએમ નરેન્દ્ર મોદી આજે સાંજે 7 વાગે બીજી વાર પ્રધાનમંત્રી પદના શપથ લેશે, આ ભવ્ય કાર્યક્રમમાં શામેલ થવા માટે 8000 મહેમાનોને આમંત્રણ મોકલવામાં આવ્યુ છે. બહારના મહેમાનોમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાર, થાઈલેન્ડ, નેપાળ અને ભૂટાનના પ્રમુખ શામેલ થશે. આ ઉપરાંત સાંસદો અને બધા રાજ્યોના મુખ્યમંત્રીઓને આમંત્રણ મોકલવામાં આવ્યુ છે. વર્ષ 2014માં પણ પીએમ મોદીનો શપથગ્રહણ સમારંભ ઘણો ભવ્ય હતો પરંતુ આ વખતના શપથ ગ્રહણને તેનાથી પણ વધુ ભવ્ય બનાવવાની કોશિશ કરવામાં આવી છે.
ચાલો જાણીએ છીએ કે વર્ષ 2014ના શપથ ગ્રહણ અને વર્ષ 2019ના શપથ ગ્રહણ સમારંભમાં મુખ્ય શું ફેરફાર છે...
આ પણ વાંચોઃ મોદીના શપથ ગ્રહણમાં આવી રહી છે કંગના જેણે કહ્યુ હતુઃ આપણે ઈટલીના ગુલામ હતા
બિમ્સટેકના સભ્ય બન્યા છે મહેમાન
2014માં સાર્ક દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ વખતે બિમ્સટેકના સભ્યોને બોલાવવામાં આવ્યા છે. એવામાં આ વખતે બિમ્સટેકના દેશ જેવા કે બાંગ્લાદેશ, શ્રીલંકા, ભૂટાન, મ્યાનમાર, નેપાળ અને થાઈલેન્ડના રાષ્ટ્રાધ્યક્ષોને આમંત્રિત કરવામાં આવ્યા છે એટલે કે આ વખતે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને માલદીવના રાષ્ટ્રાધ્યક્ષ મોદીના શપથ ગ્રહણ સમારંભમાં શામેલ નહિ થાય. ગઈ વખતે પાકિસ્તાનના તત્કાલીન પ્રધાનમંત્રી નવાઝ શરીફ શપથ ગ્રહણ સમારંભનો હિસ્સો હતો પરંતુ આ વખતે પાકિસ્તાનના કેપ્ટન ઈમરાન ખાનને આમંત્રણ મળ્યુ નથી.
8 હજારથી વધુ મહેમાન થશે શામેલ
શપથ ગ્રહણ સમારંભ રાષ્ટ્રપતિ ભવનની સામે સ્થિત ફોરકોર્ટ પરિસરમાં આયોજિત કરવામાં આવ્યો છે. આવુ ચોથી વાર થશે જ્યારે કોઈ પ્રધાનમંત્રીનો શપથ ગ્રહણ સમારંભ દરબાર હૉલની જગ્યાએ ફોરકોર્ટમાં થશે. આ વખતે લગભગ 7000થી 8000 લોકોના બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ગયા શપથ ગ્રહણ સમારંભમાં 5000 લોકો આવ્યા હતા.
|
29 રાજ્યોના રાજ્યપાલ પણ લેશે ભાગ
શપથ ગ્રહણ સમારંભમાં 29 રાજ્યોના રાજ્યપાલ પણ શામેલ થશે. આ ઉપરાંત રાજકારણ, ફિલ્મ, રમતગમત અને ઉદ્યોગ જગતની ઘણી જાણીતી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યુ છે. સૂત્રો મુજબ ફિલ્મ સ્ટાર શાહરુખ ખાન, અભિનેતામાંથી નેતા બનેલા રજનીકાંત, પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડ, બેડમિન્ટન ખેલાડી સાઈના નહેવાલ, જાણીતા ઉદ્યોગપતિઓમાં મુકેશ અંબાણી, ગૌતમ અદાણી અને રતન ટાટા, પૂર્વ દોડવીર પી ટી ઉષા, અનિલ કુંબલે, જવાગલ શ્રીનાથ, હરભજન સિંહ, બેડમિન્ટન કોચ પુલેલા ગોપીચંદ અને જિમ્નાસ્ટ દીપા કરમાકરને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે.
આ છે ખાસ મહેમાન
આ બધા ઉપરાંત આજના શપથ ગ્રહણના ખાસ મહેમાન છે બંગાળમાં રાજકીય હિંસામાં માર્યા ગયેલા પોતાના 54 કાર્યકર્તાઓના પરિજન, જેમને વિશેષ ટ્રેન દ્વારા ભાજપે દિલ્લી આમંત્રિત કર્યા હતા. આ એ લોકો છે જેમના ઘરવાળા બંગાળમાં થયેલી ચૂંટણી હિંસામાં માર્યા ગયા છે.
ગઈ વખતે ‘મોદી લહેર' આ વખતે ‘મોદી સુનામી'
ભાજપ 2014માં કોંગ્રેસ સામે સત્તા વિરોધી લહેરના સહારે જીત મેળવી હતી. આ વખતે ભાજપ પોતાના કામની સાથે જનતા પાસે ગઈ અને ગઈ વખતથી પણ વધુ સીટો જીતી.
ગઈ વખતે જયલલિતા આ વખતે મમતા રહેશે ગેરહાજર
પ્રધાનમંત્રી મોદીના ગયા શપથ ગ્રહણ સમારંભમાં તમિલનાડુના તત્કાલિન મુખ્યમંત્રી જયલલિતાએ ભાગ નહોતો લીધો. તેમના સિવાય લગભગ બધા રાજ્યોના મુખ્યમંત્રી આ સમારંભમાં આવ્યા હતા. ગઈ વખતે 34 સીટો જીતનાર મમતા બેનર્જી પણ આવ્યા હતા. પરંતુ આ વખતે મમતાએ સમારંભમાં ન આવવાની ઘોષણા કરી છે. આ ઉપરાંત એમપીના કમલનાથ અને છત્તીસગઢના ભૂપેશ બઘેલ જેવા અમુક કોંગ્રેસી મુખ્યમંત્રીઓએ પણ સમારંભમાં આવવાનો ઈનકાર કરી દીધો છે.
વિશેષ મુહૂર્ત
સાંજે 7 વાગે શપથ ગ્રહણ સમારંભ શરૂ થશે. જ્યોતિષિઓના જણાવ્યા મુજબ મોદીની કુંડળી અનુસાર અત્યારે તેમનો રાજયોગ છે. શપથ ગ્રહણ સમારંભ લગભગ દોઢ કલાક સુધી ચાલશે. શપથ ગ્રહણ બાદ રાષ્ટ્રપતિ ભવનમાં વિશેષ ભોજનની વ્યવસ્થા છે જેમાં નૉનવેજથી લઈને વેજ સુધી દરેક પ્રકારના ભોજનની વ્યવસ્થા છે.