30 વર્ષ સુધી મહિલાને કેમ ન ખબર પડી કે તે પુરુષ છે?
30 વર્ષ સુધી મહિલાને કેમ ન ખબર પડી કે તે પુરુષ છે?
30 વર્ષની મહિલા, છેલ્લા નવ વર્ષથી પરિણીત હતાં. તેમનું જીવન સામાન્યપણે વીતી રહ્યું હતું, દંપતીને શેર માટીની ખોટ સાલતી હતી, જેના માટે તેઓ શક્ય તમામ ઇલાજ અને ઉપાય કરી રહ્યાં હતાં.
થોડા મહિના પહેલાં મહિલા પેડુમાં દુખાવાની ફરિયાદ લઈને ડૉક્ટર પાસે ગયાં હતાં, તપાસ દરમિયાન તેમને જે જાણવા મળ્યું, તેણે મહિલાની જિંદગી હંમેશાને માટે બદલી નાખી.
મહિલાને માલૂમ પડ્યું કે તેઓ જન્મથી સ્ત્રી નહીં, પુરુષ છે, એટલું જ નહીં તેઓ વૃષણ ધરાવે છે, જે બહાર દેખાતા નથી અને તેમાં કૅન્સર થયું છે.
તબીબોના મતે આવું ઍન્ડ્રોજન ઇનસૅન્સિટિવિટી સિન્ડ્રૉમ (AIS)ને કારણે થયું છે, સરેરાશ 22 હજાર વ્યક્તિમાંથી એકમાં આ પ્રકારની ખામી જોવા મળે છે.
અવઢવ, ઓળખ અને AIS
થોડા મહિના પહેલા કોલકતાની નેતાજી સુભાષચંદ્ર બોઝ કૅન્સર હૉસ્પિટલમાં બિરભૂમ જિલ્લાનાં મહિલા માયા (કાલ્પનિક) પેડુમાં દુખાવાની ફરિયાદ લઈને પહોંચ્યાં હતાં.
ન્યૂઝ એજન્સી પી.ટી.આઈ.ના રિપોર્ટ પ્રમાણે, ક્લિનિકલ ઓન્કૉલૉજિસ્ટ ડૉ. અનુપમ દત્તા તથા સર્જિકલ સૌમેન દાસે તેમની તપાસ કરી, ત્યારે 'ખરી ઓળખ' વિશે માલૂમ પડ્યું હતું અને તેઓ અંદરના ભાગમાં વૃષણ ધરાવતા હોવાનું બહાર આવ્યું હતું.
ડૉ. દત્તાના કહેવા પ્રમાણે, "તેમનો દેખાવ મહિલા જેવો છે. તેમનો અવાજ, સુવિક્સિત સ્તન અને જનાનંગ સહિતના અંગો કોઈ સામાન્ય મહિલા જેવા છે. જોકે તેમનામાં ગર્ભાશય કે અંડકોશ નથી. એટલું જ નહીં તેઓ ક્યારેય રજસ્વલા પણ નથી થયાં."
તપાસ દરમિયાન તેઓ સિમિનોમા (વૃષણના કૅન્સર)થી પીડિતા હોવાનું બહાર આવ્યું હતું. આ સિવાય મહિલા 'બ્લાઇન્ડ વજાઇના' ધરાવતા હતા. આથી તબીબોએ તેમનો કેરિયોટાઇપિંગ ટેસ્ટ કર્યો. સામાન્ય રીતે મહિલામાં 46 'XX' રંગસૂત્ર હોવા જોઇએ તેના બદલે 'XY' રંગસૂત્ર ધરાવતાં હતાં.
'બ્લાઇન્ડ વજાઇના' ધરાવનારના સ્ત્રી જનાનંગોનો પૂર્ણવિકાસ નથી થયો હોતો તથા તેમના વજાઇનાની કેનાલ ગર્ભાશય સુધી પહોંચતી નથી. જો મહિલા ગર્ભાશય ધરાવતાં હોય તો સર્જનરી દ્વારા તેને સામાન્ય કરી શકાય છે.
શું છે AIS?
ઍન્ડ્રોજન ઇનસૅન્સેટિવિટી સિન્ડ્રૉમને કારણે બાળકના બાળકના જનાનંગો તથા પ્રજોત્પતિ સંબંધિત અંગોનો પૂર્ણપણે વિકાસ નથી થતો.
પુરુષોના સેક્સ હૉર્મૉન ઍન્ડ્રોજન પ્રત્યે શરીર પ્રતિક્રિયા નથી કરતું એટલે તેઓ મહિલા તરીકેનાં બાહ્યા લક્ષણ ધરાવે છે. જેને કમ્પલિટ ઍન્ડ્રોજન ઇનસૅન્સેટિવિટી સિન્ડ્રૉમ (CAIS) કહેવાય છે.
CAIS વિશે જાણવામાં સમય લાગી જતો હોય છે, કારણ કે તેમાં બાળકના અંગે સામાન્ય છોકરી જેવા જ હોય છે. તરુણાવસ્થામાં રજસ્વલા ન થવાને કારણે, પ્રાઇવેટ પાર્ટ્સની આજુબાજુ કે બગલની નીચે બાલ ન આવે ત્યારે આના વિશે જાણ થાય છે.
આ અવસ્થામાં બાળક જ્યારે મોટું થાય છે, ત્યારે તેને કાઉન્સેલિંગની વધુ જરૂર હોય છે.
જો ઍન્ડ્રોજન પ્રત્યે શરીર આંશિક પ્રતિક્રિયા કરતું હોય તો તેને પાર્શિયલ ઍન્ડ્રોજન ઇનસૅન્સેટિવિટી સિન્ડ્રૉમ (PAIS) તરીકે ઓળખવામાં આવે છે.
આ સ્થિતિમાં બાળકમાં સ્ત્રી તથા પુરુષ એમ બંનેના મિશ્ર લક્ષણ પણ જોવા મળે છે. મિશ્ર લક્ષણમાં બાળકમાં લિંગ નથી હોતું કે આંશિક હોય છે.
અમુક સંજોગોમાં હૉર્મૉન થેરેપી તથા અન્ય ટ્રિટમૅન્ટ દ્વારા જનાનંગોનો વિકાસ બદલી શકાય છે. તબીબી પરામર્શથી માતા-પિતા આ વિશેનો નિર્ણય લઈ શકે છે અને જે લિંગ (સ્ત્રી કે પુરુષ) જે સૌથી વધુ ઉપયુક્ત હોય તે મુજબ સારવાર ચાલુ કરવામાં આવે છે.
આ ગાળા દરમિયાન બાળકને માનસિક કાઉન્સેલિંગની જરૂર હોય છે.
તબીબોએ મહિલાનાં બહેનની ઉંમર 28 વર્ષની તપાસ કરતા, તેઓ AIS ગ્રસ્ત હોવાનું બહાર આવ્યું છે. આ સિવાય મહિલાનાં બે માસીને પણ AIS હોવાનું તબીબોની તપાસમાં બહાર આવ્યું છે.
'માયા', કાયા અને ભવિષ્ય
હાલ માયાની કિમોથેરાપી ચાલુ કરવામાં આવી છે અને તેમની સ્થિતિ સામાન્ય છે.
ડૉ. દત્તાના કહેવા પ્રમાણે, "તેઓ મહિલા તરીકે જ ઉછર્યાં છે. તેઓ લગભગ એક દાયકાથી પુરુષને પરણેલાં છે. આથી અમે તેમને દરદી તથા તેમના પતિનું કાઉન્સેલિંગ કરી રહ્યાં છીએ. અમે તેમને જે રીતે જીવી રહ્યાં છે, તે રીતે જ સામાન્ય જીવન જીવવાની સલાહ આપી છે."
તેઓ કહે છે, "તેમના શરીરમાં વૃષણ અવિક્સિત રહ્યા હતા, જેના કારણે ટેસ્ટેસ્ટ્રૉનનો સ્ત્રાવ થયો જ ન હતો. જ્યારે સ્ત્રી તરીકેના હૉર્મૉનને કારણએ તેમને પૂર્ણ સ્ત્રી જેવો બાહ્યા દેખાવ મળ્યો."
ટેસ્ટેસ્ટ્રૉનએ પુરુષોમાં સેકસ નિર્ધારિત કરતા હૉર્મૉન છે, જેના કારણે તેમના શરીર ઉપર વાળ ઉગે છે અને તે સ્ત્રીથી અલગ અવાજ ધરાવે છે. આ સિવાય પ્રોજત્પતિ માટેના કોશોનું સર્જન પણ કરે છે.
તબીબોનું કહેવું છે કે બહેન અને બે માસી પણ AIS ધરાવતાં હોય જનીનગત વારસાગત રીતે ઉતરી આવ્યું હશે. સામાન્ય રીતે માતામાંથી તે બાળકમાં ઉતરી આવે છે.
આ પ્રકારની ખામી ધરાવતા લોકો મોટાભાગે સંતાન પેદા નથી કરી શકતા, બાકી બધી રીતે તેઓ સામાન્ય જીવન જીવી શકે છે.