21 વર્ષ બાદ કાર્યરત થશે કેશોદ એરપોર્ટ
21 વર્ષ બાદ એશિયાટિક સિંહોના નિવાસસ્થાન ગીર નજીક કેશોદ એરપોર્ટ કોમર્શિયલ કામગીરી શરૂ કરશે.
રાજકોટ : 21 વર્ષ બાદ એશિયાટિક સિંહોના નિવાસસ્થાન ગીર નજીક કેશોદ એરપોર્ટ કોમર્શિયલ કામગીરી શરૂ કરશે. 12 માર્ચે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા નવા એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે અને મુંબઈની પ્રથમ ફ્લાઈટને ફ્લેગ ઓફ કરશે.
આ એરપોર્ટને કાર્યરત કરવાની જાહેરાત 2018 માં કરવામાં આવી હતી, પરંતુ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ની કેટલીક મંજૂરીને લીધે વિલંબ થયો હતો. કેશોદ એરપોર્ટને ભારત સરકારની રિવાઇવલ ઓફ એરપોર્ટ સ્કીમ હેઠળ રૂપિયા 25 કરોડના ખર્ચે વિકસાવવામાં આવ્યું છે. એલાયન્સ એર, પ્રાદેશિક કનેક્ટિવિટી સ્કીમ (RCS)-UDAN હેઠળ કામગીરી શરૂ કરશે.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા, કેશોદ એરપોર્ટના ડાયરેક્ટર પીએલ પ્રસન્નાએ જણાવ્યું હતું કે, 72 સીટવાળી મુંબઈ-કેશોદ-મુંબઈ ફ્લાઇટ 12 માર્ચથી કાર્યરત થશે. અમે ત્યાં રનવેનું રિ-કાર્પેટિંગ કામ પૂર્ણ થયા બાદ અમદાવાદ માટે વધુ એક ફ્લાઇટનું આયોજન કરી રહ્યા છીએ.
પીએલ પ્રસન્નાએ વધુમાં જણાવ્યું હતું કે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ સુનિશ્ચિત ફ્લાઈટ્સ શરૂ કરવા માટે તમામ નિયમનકારી મંજૂરીઓ અને લાઇસન્સ પ્રાપ્ત કર્યા છે. ટર્મિનલ એક સમયે 75 મુસાફરોને હેન્ડલ કરવામાં સક્ષમ છે. જૂનાગઢના લોકસભાના સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે, મને નાગરિક ઉડ્ડયન મંત્રીનો પત્ર મળ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, કેશોદ એરપોર્ટથી 12 માર્ચથી કોમર્શિયલ ઓપરેશન શરૂ થશે અને તેઓ ઉદ્ઘાટન સમારોહ દરમિયાન હાજર રહેશે.
સાસણ-ગીર, એશિયાટીક સિંહોનું છેલ્લું નિવાસસ્થાન કેશોદથી 50 કિમી દૂર છે. ફ્લાઇટ કનેક્ટિવિટી સાસણ તેમજ ગીર નેશનલ પાર્કમાં પ્રવાસનને વેગ આપશે તેવી અપેક્ષા છે. હાલમાં અન્ય રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓને રાજકોટ એરપોર્ટ પર ઉતરવું પડે છે અને ત્યારબાદ સાસણ જવા માટે 3-4 કલાકનો રોડ પ્રવાસ કરવો પડે છે.
કેશોદથી 35 કિમી દૂર જૂનાગઢને પણ ઐતિહાસિક શહેર તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે અને ગિરનાર પર્વત પર રોપ-વે શરૂ થયા બાદ પ્રવાસીઓની સંખ્યામાં અનેકગણો વધારો થયો છે. કેશોદથી માત્ર 55 કિમી દૂર આવેલ હોવાથી સોમનાથ મંદિરમાં પ્રવાસીઓનો ધસારો વધવાની પણ ધારણા છે.