જાણો કેમ 'અલગતાવાદી'ને ગળે લગાવી રહ્યાં છે PM?
નવી દિલ્હી (વિવેક શુક્લા): જો રાજકારણ ના કરતા હોત તો સજ્જાદ ગની લોન મોર્ડલિંગ પણ કરી શકતા હતા. એકદમ સુંદર અને હેંડસમ સજ્જાદ લોન ક્યારેય અલગતાવાદી કશ્મીરી નેતાના રૂપમાં ઓળખવામાં આવતાં હતા. લોન ખૂબ ઉમદા અંગ્રેજી બોલે છે. તે આજકાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરી રહ્યાં છે. કહેવામાં આવે છે કે જમ્મૂ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી બાદ તે ભાજપને સમર્થન આપશે. હાં, તેના બદલામાં કોઇ મોટું પદ લેશે.
તે કાશ્મીરના દિગ્ગજ નેતા અબ્દુલ ગની લોનના સૌથી નાના કુંવર છે. અબ્દુલ ગની લોનની હત્યા કરી દેવામાં આવી હતી. તેમના બાદ સજ્જાદ જ પીપલ્સ કોંગ્રેસના મુખિયા બન્યા. જાણકારોનું કહેવું છે કે નરેન્દ્ર મોદીએ લોન જેવા અલગતાવાદી નેતાને દેશની મુખ્યધારા સાથે જોડીને મોટું કામ કર્યું. લોન પહેલાં મિઝોરમમાં લાલડેંગા જેવા અલગતાવાદી નેતા દેશની મુખ્યધારા સાથે જોડાઇ ચૂક્યાં છે.
સજ્જાદ લોન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગત સોમવારે તેમના નિવાસસ્થાને જઇને મળ્યા. આ મુલાકાત બાદ સજ્જાદ લોને નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં તેમના મોટા ભાઇ પણ ગણાવી દિધા. લોન અને નરેન્દ્ર મોદીની આ મુલાકાતનો પાયો જુલાઇના પહેલાં અઠવાડિયામાં ભાજપના તત્કાલિન મહાસચિવ જેપી નડ્ડા અને સજ્જાદ લોનની મુલાકાત દરમિયાન નંખાયો હતો.
જાણકારો કહે છે કે ઘાટીમાં આગામી ચૂંટણીને જોતાં આ મુલાકાત મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. આ મુલાકાતને લઇને ત્યાં સુધીના અનુમાન લગાવવામાં આવી રહ્યાં હતાં કે પૂર્વ અલગતાવાદી નેતા વિધાનસભા ચૂંટણીમાં ભાજપની સાથે આવી શકે છે. તેમણે જણાવ્યું હતું કે કાશ્મીરી હોવાના નાતે તે ઘાટીની સમસ્યાઓ અને તેમના સમાધાનને લઇને વડાપ્રધાનને મળ્યા.
સજ્જાદ લોને નરેન્દ્ર મોદીના વિનમ્ર સ્વભાવની પ્રશંસા કરી. લોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જમીન સાથે જોડાયેલા વ્યક્તિ ગણાવ્યા. નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં સજ્જાદ લોને કહ્યું 'મોદી એટલા મોટા દિલના વ્યક્તિ છે કે મને એ નક્કી કરવામાં સમસ્યા આવી રહી છે કે હું આજે ભારતના પીએમને મળ્યો કે મારા મોટા ભાઇને.'
સજ્જાદ લોને વડાપ્રધાન પાસે માંગણી કરી કે ઘાટીમાં રાહત અને પુનર્વાસનું કામ નક્કર રીતે થવું જોઇએ. કાશ્મીરનો વિકાસ એક સ્માર્ટ સિટીની તર્જ પર થવો જોઇએ. વડાપ્રધાને લોનને આશ્વાસન આપ્યું કે ઘાટીનો વિકાસ સ્માર્ટ સિટીના તર્જની સાથે જ ટૂરિસ્ટ ડેસ્ટિનેશનના તર્જ પર પણ કરવામાં આવશે.
તમને જણાવી દઇએ કે રાજ્યમાં જમ્મૂ અને લદ્દાખ વિસ્તારમાં પહેલાં જ અડ્ડો જમાવી ચૂકેલી ભાજપ ઘાટીમાં પોતાની જગ્યા બનાવવા માટે લોન જેવા નેતાઓ સાથે સંપર્કમાં છે. રાજ્યમાં પોતના 'મિશન 44 પ્લસ' પુરૂ કરવા માટે ભાજપ નેતૃત્વ દિવસ-રાત એક કરી રહ્યું છે. આ ક્રમમાં તાજેતરમાં જ નેશનલ કોંફ્રેસના નેતા અજાતશત્રુ સિંહ પણ ભાજપમાં આવી ગયા.