જાણો ઓબામા અને મોદીનું આલિંગન પાક. માટે કેમ છે આંચકારૂપ!
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બરાક ઓબામાનું આલિંગન શું સૂચવે છે? વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિને માત્ર બરાક તરીકે મોદીનું સંબોધન શેના સંકેત આપે છે? આ ઘટના એ સૂચવે છે કે બંને નેતાઓ દ્વિપક્ષીય વાર્તાથી ઘણા પર છે, જ્યારે બીજી તરફ પાકિસ્તાનના આંખમાં આ ખૂંચી રહ્યું છે.
વિશ્લેષકોનું માનવું છે કે બંને નેતાઓનું આ રીતે મુક્તપણે આલિંગન એ તરફ ધ્યાન કેન્દ્રીત કરે છે કે તેઓ દ્વિપક્ષીય સંબંધો કરતા પણ વધારે એકબાજાની નજીક છે. જોકે આ ઘટના ઘણા દેશો માટે બળતરા જન્માવે છે, ખાસ કરીને પાકિસ્તાન, જે હંમેશાથી અમેરિકા પર નિર્ભર રહ્યું છે.
ઓબામાના ભારત યાત્રા બાદ સાઉદી અરેબીયા માટે રવાના થયાની સાથે જ એવું નિવેદન અસ્વસ્થ કરનારુ છે કે ઓબામા દ્વારા ભારતમાં જૂના ગઠબંધનો પર નજર કરીને તેને આગળ પ્રસરાવવાની નેમ અપનાવી છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેરત કરતા જણાવ્યું કે પાકિસ્તાન અમેરિકા સાથેના તેના સંબંધોની કદર કરે છે અને આશા રાખે છે આ સંબંધ દક્ષિણ એશિયામાં સ્થિરતા બનાવી રાખવા માટે ઉપયોગી નિવડશે. અહીં એક વાત એ પણ ના ભૂલવી જોઇએ કે ઓબામાની ભારત યાત્રા દરમિયાન પાકિસ્તાન આર્મી ચીફે ચીનની મુલાકાત લીધી હતી, અને જણાવ્યું હતું કે ચીન તેનું પરંપરાગત મિત્ર રહ્યું છે.
જે સાબિત કરે છે કે પાકિસ્તાન માત્ર ચિંતિત જ નથી પરંતુ તે ખૂબજ આકુળ-વ્યાકુળ પણ બની ગયું છે. પાકિસ્તાન હંમેશાથી એ વાતથી આત્મવિશ્વાસી રહ્યું છે કે તેના સંબંધો અમેરિકા સાથે ખૂબ જ સારા અને લાભદાયક રહ્યા છે. તેમ છતા બંને દેશો વચ્ચે ઘણા મુદ્દા પર વિવાદ રહ્યો છે, કે અમેરિકા તેમને હંમેશા આતંકવાદ વિરુદ્ધની લડતમાં સહભાગી ગણે.
પાકિસ્તાન જ્યારે પણ આતંકવાદમાં લિપ્ત મળી આવે છે ત્યારે તે આતંકવાદ પીડિત હોવાનો રાગ આલાપે છે. જોકે ઓબામાએ પોતાની ભારત યાત્રા દરમિયાન ચોખ્ખા શબ્દોમાં જણાવી દીધું છે કે તેઓ પાકિસ્તાનમાં કોઇ પ્રકારનો આતંકવાદ ઉછેરવા દેશે નહીં અને 26/11ના પીડિતોને ચોક્કસ ન્યાય મળવો જોઇએ. જોકે ઓબામાએ ત્રાસવાદને કાબૂ લેવા માટે પાકિસ્તાનના પ્રયાસોની પ્રસંશા પણ કરી.
જોકે નોંધનીય છે કે પાકિસ્તાના આતંકવાદને રોકવાના પ્રયાસો પસંદગીયુક્ત છે. પાકિસ્તાન 'સારું આતંકવાદ અને ખરાબ આતંકવાદ'નું હિમાયતી છે. સારા તાલિબાન એ જે પાકિસ્તાનને કોઇ નુકસાન ના પહોંચાડે, અને ખરાબ એ જે તેમની પર હુમલો કરે. એટલે પાકિસ્તાન એવા આતંકવાદને છાવરી રહ્યું છે જે તેમના માટે સારુ હોય અને ભારત પર હુમલો કરે, જેમકે તાલિબાન અને લશ્કર-એ-તૈયબા.
જ્યારે પાકિસ્તાન હંમેશાથી એવી આશા સેવીને બેઠું હતું કે અફઘાનિસ્તાનમાં તેમને કંઇક કરવાની મંજૂરી અમેરિકા દ્વારા મળશે.
આ રીતે ઘણા બધા મુદ્દાઓ પર ઓબામા અને મોદીના એકરાગના કારણે પાકિસ્તાનની ઊંઘ હરામ થઇ ગઇ છે અને તેની ચિંતામાં વધારો થયો છે.
પાકિસ્તાન માટે એ કારણ પણ વધારે ચિંતાતૂર કરનારું છે કે ઓબામાએ બીજી વાર ભારતની યાત્રા કરી પરંતુ હજી એક પણ વખત તેમણે પાકિસ્તાનની મુલાકાત નથી લીધી. ઓબામાએ હંમેશા ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાતો સાથે સહસંમતિ દર્શાવી છે.
જેનો અર્થ એ થાય છે કે બરાક ઓબામા પાકિસ્તાન સાથે ઘણા બધા મુદ્દે ખુશ નથી. તેઓ પાકિસ્તાનને લશ્કરી સહાય તો મોકલી રહ્યા છે પરંતુ પાકિસ્તાનીઓની પ્રતિબદ્ધતા પર સવાલો પેદા કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બરાક ઓબામાએ થોડા વર્ષો પહેલા પાકિસ્તાન યાત્રાનું આયોજન કર્યું હતું, પરંતુ પાકિસ્તાનમાંથી ઓસામા બિન લાદેન મળી આવતા તેમણે ત્યાં જવાનું ટાળ્યું હતું.
આશ્ચર્યજનક બાબત એ છે કે અમેરિકા એક તરફ એમ કહે છે કે પાકિસ્તાન સુપર પાવર બની શકે છે, જ્યારે બીજી તરફ તે કહે છે કે પાકિસ્તાન સાથેના તેમના સંબંધો પહેલા જેવા જ છે, અને એવું પણ કહે છે કે પાકિસ્તાનને આતંકવાદનું સ્વર્ગ નહીં બનવા દઇએ.
વડાપ્રધાન મોદીએ પાકિસ્તાન મુદ્દો આવતા જ બરાક ઓબામા સાથે સ્પષ્ટતા કરી લીધી કે, અમેરિકાએ પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરી લેવાની જરૂર છે. ભારત હંમેશા અમેરિકાના પાકિસ્તાન પ્રત્યેના વલણથી આશ્ચર્યમાં રહ્યું છે, એક તરફ અમેરિકા કડકાઇ બતાવે છે અને બીજી તરફ તેઓ પાકિસ્તાનમાં લશ્કરી સહાય મોકલે છે.
મોદીએ ઓબામા સાથે એ પણ સ્પષ્ટતા કરી કે, પાકિસ્તાને આતંકવાદ વિરુદ્ધ લડવાની જાહેરાત તો કરી છે પરંતુ હજી પણ તેમના તરફથી કોઇ સપોર્ટ મળી નથી રહ્યો. પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલું છદ્મ યુદ્ધ ભારત માટે માથાનો દુ:ખાવો બન્યું છે. પાકિસ્તાન 26/11ના માસ્ટરમાઇન્ડને ભારતના હસ્તક કરવા માટે પણ ગંભીર નથી.
ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમેર્યું છે 26/11ના પીડિતોને ન્યાય મળવો ખૂબ જ જરૂરી છે. મોદીએ જણાવ્યું કે દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા માટે પાકિસ્તાનમાંથી આતંકવાદને જળમૂળમાંથી સાફ કરવું જરૂરી છે.