ભુટ્ટો હત્યા કેસમાં મુશર્રફના રિમાન 14 દિવસ વધારાયા
ઇસ્લામાબાદ, 14 મે : પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના વર્ષ 2007માં બેનઝીર ભુટ્ટોની જાહેરમાં હત્યા કરવાના કેસમાં ચાલી રહેલા રિમાન્ડ વધુ 14 દિવસ માટે લંબાવવામાં આવ્યા છે. આ રિમાન્ડ આજે એન્ટિ ટેરરિઝ્મ કોર્ટ દ્વારા વધારવામાં આવ્યા છે.
આ અંગેની માહિતી આપતા સરકારી વકીલ ચૌધરી અહેમદે જણાવ્યું કે "રાવલપિંડીમાં ચૌધરી હબીબ ઉર્ર રહેમાનની કોર્ટે મુશર્રફના ન્યાયિક રિમાન્ડ 28 મે સુધી લંબાવ્યા છે. આ ઉપરાંત તેમની જામીન અરજી પરની સુનવણી 20 મે સુધી મુલતવી રાખી છે." ભુટ્ટો હત્યા કેસમાં આગલી સુનવણી 28 મે ના રોજ કરવામાં આવશે.
આજે મુશર્રફના વકીલ સલમાન સફદરે સુનવણીમાં હાજરી આપી ન હતી. 2008ના મુંબઇ હુમલા કેસ અને બેનઝીર ભુટ્ટોની હત્યાનો કેસ લડી રહેલા વરિષ્ઠ વકીલ ચૌધરી ઝુલ્ફીકાર અલીની 3 મેના રોજ ઇસ્લામાબાદમાં શંકાસ્પદ ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવેલી હત્યા બાદ આ પ્રથમ સુનવણી હતી.
પાકિસ્તાનમાં બે વાર વડાપ્રધાન રહી ચૂકેલા બેનઝીર ભુટ્ટોને જરૂરી સુરક્ષા પૂરી પાડવામાં કચાશ રાખવા બદલ 69 વર્ષના મુશર્રફ સામે કેસ ચાલી રહ્યો છે. રાવલપિંડીમાં ડિસેમા્બર 2007માં એક રેલીને સંબોધીને પાછા ફરી રહેલા બેનઝીર ભુટ્ટો પર આત્મઘાતી બોમ્બર દ્વારા હુમલો કરી તેમની હત્યા કરવામાં આવી હતી.
પરવેઝ મુશર્રફ મે 2013માં યોજાનારી રાષ્ટ્રીય સામાન્ય ચૂંટણીમાં ચૂંટણી લડવા માટે માર્ચ 2013માં પાકિસ્તાન પાછા ફર્યા હતા. જોકે પેશાવર હાઇ કોર્ટે તેમના ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધ મૂક્યો હતો.મુશર્રફ પર વલર્ષ 2007ની કટોકટીમાં ન્યાયાધીશને ધમકી આપવા અને વર્ષ 2006માં બલોચ નેતા અકબર બુગ્તીની લશ્કરી ઓપરેશનમાં હત્યા કરવાના આરોપો છે. અનેક કેસોમાં તેમની ધરપકડને પગલે મુશર્રફને ઇસ્લામાબાદની બહાર આવેલા ફાર્મ હાઉસમાં કેદ કરવામાં આવ્યા છે. સત્તાવાળાઓએ આ ફાર્મ હાઉસને સબ-જેલ જાહેર કરી છે.