ટેસ્ટ ક્રિકેટ માટે તૈયાર છે યુવરાજ સિંહ
કેન્સર સામેનો જંગ જીતીને ટી20માં સફળ પુનરાગમન કર્યા પછી યુવરાજ વધુ પ્રતિબદ્ધ જણાઇ રહ્યો છે. નોર્થ ઝોન તરફથી લગાવેલી બેવડી સદીમાં યુવરાજે બતાવી દીધું છે કે હવે વધારે સમય સુધી તેને ટેસ્ટ ટીમથી દૂર રાખી શકાશે નહીં. યુવરાજનું કહેવું છે કે હવે તે માત્ર પોતાના પ્રદર્શન પર જ ધ્યાન આપી રહ્યો છે. તેને એ વાતની જરા પણ ચિંતા નથી કે તેને ટેસ્ટ ટીમ માટે પસંદ કરવામાં આવશે કે નહીં.
વનડે અને ટી20માં મીડલ ઓર્ડરના શક્તિશાળી બેટ્સમેન યુવરાજ સિંહ ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન પાક્કુ કરાવવા ઇચ્છે છે. આ પહેલા ટેસ્ટ ટીમમાં નંબર 6 માટે સુરેશ રૈનાને તકો આપવામાં આવી, પરંતુ તે પસંદકારીને પ્રભાવિત કરી શક્યો નહીં. જ્યારે રોહિત શર્મા હજુ પણ ટેસ્ટ ટીમમાં પર્દાર્પણની પ્રતિક્ષા કરી રહ્યો છે. તેના ખરાબ પ્રદર્શનને જોઇને એવું લાગી રહ્યું છે કે ટેસ્ટમાં તેને તક મળવી મુશ્કેલ છે.
રૈનાએ પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત 2010માં શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી ટેસ્ટ શ્રેણીથી કરી હતી, પરંતુ તે ટીમમાં પોતાનું સ્થાન પાક્કુ કરવામાં નિષ્ફળ રહ્યો. આ દરમિયાન તેણે 17 મેચોમાં 1 સદી અને સાત અડધી સદીની મદદથી 768 રન બનાવ્યા છે. તેવામાં યુવરાજ સિંહને એક તક આપવામાં આવી શકે છે. તેણે પોતાના પુનરાગમન પછી શાનદાર પ્રદર્શન કર્યું છે. યુવરાજે પાંચ ટી20માં 66 રન બનાવ્યા છે અને આઠ વિકેટ લીધી છે.
આ ઉપરાંત દુલીપ ટ્રોફીમાં બેવડી સદી ફટકારીને પોતાની તૈયારીઓનો પરચો આપી દીધો છે. યુવરાજ ઉપરાંત મનોજ તિવારી, બદ્રીનાથ પણ ટેસ્ટમાં સ્થાન મેળવવાની રેસમાં છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 15 નવેમ્બરથી ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની શરૂઆત થશે. આ ઉપરાંત ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ વનડે ને બે ટી20 મેચોની શ્રેણી પણ રમાવાની છે.