શ્રીનિવાસને નૈતિકતાના ધોરણે રાજીનામુ આપવું જોઇએ : રમત મંત્રાલય
મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, બીસીસીઆઈ મેચ ફિક્સિંગ અને સ્પોટ ફિક્સિંગના આરોપોમાં તપાસ કરી રહ્યું છે. આ તપાસમાં હિતોનો ટકરાવ થઈ રહ્યો છે તેથી બીસીસીઆઈના પ્રમુખે તપાસનું પરિણામ આવે ત્યાં સુધી અને નૈતિક્તાને ખાતર તેમનું રાજીનામું આપી દેવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે આઈપીએલનાં કમિશનર રાજીવ શુક્લાએ શ્રીનિવાસનને સલાહ આપી હતી કે, શ્રીનિવાસને તેમનાં જમાઈ અને આઈપીએલની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓ ગુરુનાથ મયપ્પન સામેની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તેમણે પદ પર રહેવું ન જોઈએ.
જોકે ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસને શુક્લાની સલાહને નકારી કાઢી છે. તેમણે કહ્યું છે કે હું રાજીનામું નહીં આપું. શ્રીનિવાસન આ સમગ્ર મામલામાં પોતાને નિર્દોષ ગણાવી રહ્યા છે. રાજીવ શુક્લાએ એમ પણ કહ્યું કે, તપાસનાં પરિણામોની બીસીસીઆઈ પાસેથી મંજૂરી લેવાની જરૂર નથી એને સીધા જ લાગુ કરી શકાશે.