ક્રિકેટના ભગવાન સચિને વનડે ક્રિકેટને કહ્યું અલવિદા
બીસીસીઆઇએ ટ્વિટરમાં જણાવ્યા પ્રમાણે સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. સચિને આ વાત માત્ર બોર્ડ અધ્યક્ષને જણાવ્યું હતું. સચિને બોર્ડને કહ્યું છે કે, મેં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનું નક્કી કર્યું છે. તેણે કહ્યું છે કે 2015ના વિશ્વકપની તૈયારી અત્યારથી શરૂ કરી દેવી જોઇએ. નોંધનીય છે કે પહેલા એવા સમાચાર હતા કે સચિન પાકિસ્તાન સામે પોતાની છેલ્લી વનડે રમશે પરંતુ તેણે એ પહેલા જ કિક્રેટને અલવિદા કહીં દીધું છે.
અનેક સિદ્ધિ પોતાના નામે નોંધાવનાર સચિન તેંડુલકરે 23 વર્ષ સુધી ક્રિકેટ વિશ્વમાં ભારતને ઝળહળતું રાખ્યું છે. તેણે વનડેમાં સર્વાધિક 463 વનડે રમી છે. તેણે વનડેમાં 18426 રન ફટકાર્યા છે, જેમાં 96 અડધી સદી અને 49 સદી ફટકારી છે. સચિનના નામે અનેક વનડે સિદ્ધિઓ છે, તેમાં વિશ્વ ક્રિકેટમાં વનડેમાં પ્રથમ બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ પણ તેના નામે છે.
સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે, સચિને યોગ્ય નિર્ણય કર્યો છે. આ તેનો પોતાનો નિર્ણય હશે તેના પર કોઇપણ પસંદગીકાર દ્વારા દબાણ લાવવામાં આવ્યું નહીં હોય કે ના તો તેને પડતો મુકવામાં આવે તેવું કોઇએ વિચાર્યું હોય.
અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી તે નબળાં પ્રદર્શનના કારણે ટીકાનો સામનો કરી રહ્યો હતો. સતત નિષ્ફળ જવાના કારણે ક્રિકેટ વિશ્લેષકો અને ભારતના દિગ્ગજ ક્રિકેટર્સ અને એક સમયના તેના સાથીઓએ સચિન હવે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લે અને ભવિષ્ય અંગે વિચારે તેવા નિવેદનો આપ્યા હતા, બની શકે કદાચ પાકિસ્તાન સામેની શ્રેણી પૂર્વે જ વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય સચિને કર્યો હોય.