નાણાં પ્રધાન વ્યાજદર ઘટાડવા માટે બેન્કોને કહેશે
નવી દિલ્હી, 21 જૂન : છેલ્લા ત્રણ મહિનાઓથી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઇ) દ્વારા નાણાકીય પોલિસીમાં કેશ રિઝર્વ રેશિયોમાં ઘટાડો કરવામાં આવ્યો નથી. આ કારણે બેન્કોએ પણ ધિરાણ દરમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. જેના પગલે ઉદ્યોગોની સ્થિતિ વધારે કફોડી બની છે.
ડોલર સામે રૂપિયાની નરમાઈને કારણે આયાતકારો પણ મુશ્કેલીમાં મુકાયા છે. હવે નાણાં પ્રધાન પી ચિદમ્બરમે બેન્કોને વ્યાજદર ઘટાડવા માટે મનાવવાની જવાબદારી હાથમાં લીધી છે. ઔદ્યોગિક ક્ષેત્રે વેપારની ગતિ વધારી શકાય તે માટે તેમને વધુમાં વધુ ધિરાણ અપાવવાની જવાબદારી પણ નાણા પ્રધાન દ્વારા લેવામાં આવી છે.
બેન્કોના વ્યાજદરમાં ઘટાડો કરવા માટે નાણા વિભાગ દ્વારા બેન્કોના અગ્રણી અધિકારીઓ સાથે 26 જૂનના રોજ બેઠક યોજવામાં આવી છે. તાજેતરમાં રૂપિયામાં આવેલી નરમાઈના કારણે ઉદ્યોગ જગતની ઉત્પાદન કિંમતમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ પરિસ્થિતિમાં કંપનીઓને બેન્કો પાસેથી ધિરાણ પણ ખૂબ મોંઘુ મળી રહ્યું છે. પરિમામે હાલ ઔદ્યોગિક જગતનું ટકી રહેવુ ખૂબ મુશ્કેલ લાગી રહ્યું છે. આ સ્થિતિમાંથી ઉદ્યોગોને ઉગારવા માટે હવે નાણા પ્રધાન દ્વારા જ કોઈ ને કોઈ પગલા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.
બેન્કો સાથેની આ બેઠકને નાણા વિભાગે સામાન્ય બેઠક જ ગણાવી છે, પરંતુ નિષ્ણાતોના મત પ્રમાણે આ બેઠકનો મુખ્ય એજન્ડા વ્યાજદરમાં ઘટાડો કરવા અને ગ્રાહકોને ફાયદો આપવા અંગે રાખવામાં આવી છે. નાણા વિભાગ દ્વારા થોડા દિવસ પહેલા જ જણાવવામાં આવ્યુ હતું કે પાછલા મહિનાઓમાં આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં જે રાહત આપવામાં આવી છે બેન્કોએ તે રાહત ગ્રાહક સુધી પહોંચાડવી પડશે.
સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે બેન્કો દ્વારા પણ આ બેઠકમાં પણ વ્યાજદરઅંગે કોઈ મુદ્દો ઉઠાવવામાં આવે તેવી શક્યતા છે. બેન્કો દ્વારા સીઆરઆરમાં ઘટાડો કરવા માટેની માગણી કરવામાં આવે તેવી શક્યતા છે. બેન્કોના મત પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા સીઆરઆરમાં ઘટાડો કરવામાં નહી આવે તો આરબીઆઈએ બેન્કોને તેના પર વ્યાજ આપવું પડશે. બેન્કોમાં એનપીએ વિશે પણ મુદ્દો ઉઠાવવામાં આવે તેવી શક્યતા છે.