તસવીરોમાં જુઓ ગાંધીજીની દાંડીયાત્રાના બદલાયેલા પદચિહ્નો
રાકેશ પંચાલ, 2 ઓક્ટોબર: મહાત્મા ગાંધીએ 12મી માર્ચ 1930ના રોજ સાબરમતી આશ્રમથી દાંડી યાત્રા શરૂ કરી હતી. અંગ્રેજ સરકારે મીઠા પર કર લગાવ્યો હતો જેના વિરોધમાં દાંડીકુચ સ્વરૂપે આ સત્યાગ્રહ થયો હતો. અમદાવાદના સાબરમતી આશ્રમથી શરૂ થઈને દાંડી સુધીની આ યાત્રા માટે 25 દિવસ જેટલો સમય લાગ્યો હતો.
તે દરમ્યાન ચરોતર પંથકમાં અનેક ઠેકાણે ગાંધીજીએ રાત્રિ રોકાણ અને નાની-મોટી જાહેરસભાઓ સંબોધી હતી જેથી વર્તમાન સમયમાં દાંડીયાત્રાનો માતરથી કંકાપુર સુધીના માર્ગની કેવી પરિસ્થિતિ છે. તે બાબતે જાણવાની કોશિષ કરવામાં આવી. અને તે દરમ્યાન અનેક લોકો સાથે મુલાકાત થઈ જેમણે પોતાની વેદના અને દાંડીયાત્રાને લગતી જૂની વાતો તાજી કરી.
દાંડીયાત્રાની વધુ રસપ્રદ માહિતી વાંચવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ.
માતર
અમદાવાદથી શરૂ થયેલી ઐતિહાસિક દાંડી યાત્રા જ્યારે માતર ખાતે પહોંચી ત્યારે દાંડી યાત્રામાં મહત્વનું યોગદાન આપનાર સત્યાગ્રહી સ્વર્ગસ્થ જયંતિભાઈ સાથે મામા-ભાણિયાનો સંબંધ ધરાવતા હર્ષદભાઈ બહ્મભટ્ટ ભુતકાળને વાગોળતા જણાવે છે કે મારા મામા જયંતિભાઈ 98 વર્ષ જીવ્યાં અને તેમનો દેહાંત વર્ષ 2010માં થયો પરંતુ તેમની સાથે મારા ઘણા વર્ષો સાથે વિત્યાં છે અને તે દરમ્યાન તેઓ હમેશા કહેતા કે દાંડી યાત્રા વખતે અમે ગાંધીજીને લેવા માટે માતર ગામના યુવાનો વાસણા સુધી ગયા હતા. તે વખતે તેમની અને તેમના મિત્રોની ઉંમર પંદર વર્ષની આસપાસ હતી.
માતર
ગાંધીજી દાંડી યાત્રા વખતે ઘણા જલ્દી ચાલતા હતા જે કારણોસર મારા મામા જયંતિભાઈ અને તેમના મિત્રો ગાંધીજીની આગળ આગળ દોડતા હતા. આ બાબતે ટકોર કરતાં ગાધીજીએ માતર ખાતે યોજાયેલી જાહેર સભામાં કહ્યુ હતું કે માતર ગામના છોકરાઓ મારી આગળ આગળ દોડ્યાને ધૂળની ડમરીઓ ઉડાડી અને જેથી મારો અવાજ બેસી ગયો છે. જોકે વર્તમાન સમયમાં ગાંધીજી જે છબીલદાસ ટ્રસ્ટ ધર્મશાળામાં રાત્રિ રોકાણ કર્યું હતું તે ઓરડી બંધ અવસ્થામાં છે અને તેની જગ્યાએ તેની સામે નવું બાંધકામ બની રહ્યું છે. આ બની રહેલા ગાંધી આશ્રમના મકાનમાં રહેવાની વ્યવસ્થા ઉભી થઈ રહી છે. પરંતુ કેટલાય સમયથી કામ ખોરંભે ચઢ્યું હોય તેમ જણાઈ રહ્યું છે.
માતરવાસીઓની શું છે ઇચ્છા
માતરવાસીઓના મતે આ જગ્યાએ રોકાણની વ્યવસ્થા ઉભી થઈ રહી છે તેની સાથે ગાંધીજીના જીવનચરિત્ર અને વિચારસરણીને લગતાં પુસ્તકોને નવા બની રહેલ ગાંધી આશ્રમમાં સ્થાન આપવું જોઈએ. ત્રણ વર્ષથી ગાંધી આશ્રમની ચોકીદારી કરી રહેલા સુરેશભાઈ ત્રિવેદીના મતે જુની ધર્મશાળા વર્તમાન સમયમાં બંધ અવસ્થામાં છે જેથી કેટલાંય લોકોને પાછા જવું પડે છે અને તેની જગ્યાએ નવો ગાંધી આશ્રમ જોઈને હર્ષની લાગણી અનુભવે છે અને વહેલી તકે શરૂ થાય તેવી ઈચ્છા પ્રગટ કરે છે
તંત્ર ઘોર નિંદ્રામાં
માતર ખાતે ધર્મશાળા વિસ્તારમાં ગાંધીજીની પ્રતિમા મુકવામાં આવી છે. આ પ્રતિમાની હાલત દયનીય બની જવા પામી છે. તેને જોઈને પોતાની દુખની લાગણી પ્રગટ કરી રહેલા 81 વર્ષના મણીભાઈના જણાવ્યા અનુસાર આ પ્રતિમાને જોઈને લાગે છે કે ગાંધીજીની પ્રતિમાનું સતત અનાદર થઈ રહ્યું છે. આ પ્રતિમાની કોઈ પણ પ્રકારની સાર સંભાળ લેવાઈ રહી નથી જે યોગ્ય નથી તેનાથી વધુ ગાંધીજીની યાદો સાથે સંકળાયેલ એવી ધર્મશાળા તેમજ વર્તમાન સમયમાં નવી બની રહેલી ગાંધી આશ્રમની બિલ્ડીંગની આસપાસ જ કચરોનો ગઢ બારેમાસ પથરાયેલો રહે છે તેમ છતાં આ બાબતે કોઈ સજાગતા બતાવામાં આવી રહી નથી.
નડિયાદ
માતરમાં જાહેર સભાને સંબોધીને ગાંધીજી ડભાણ ગામમાં નાની સભા સંબોધી હતી અને ત્યાર બાદ નડિયાદ માટે રવાના થયા હતા. જ્યાં સંતરામ મંદિર ખાતે આવેલા ધર્મખંડમાં રાત્રિ રોકાણ કર્યું હતું. જોકે વર્તમાન સમયમાં ધર્મખંડ બંધ અવસ્થામાં છે. સંતરામ મંદિર ખાતે સાફ સફાયનું કામ કાજ કરી રહેલા ઉર્મિલાબેનના બેનના મતે સંતરામ મંદિરમાં હજારોની સંખ્યામાં લોકો આવે છે. પરંતુ ધર્મખંડની મુલાકાતે આવ્યાં હોય તેવા વ્યક્તોઓને મેં ક્યારેય જોયા નથી.
દાંડીકૂચ – આણંદ, બોરસદ અને કંકાપુરા રાત્રિ રોકાણ
નડિયાદથી 16મી માર્ચે સવારે શરૂ થયેલી દાડીકૂચે બોરીઆવી ખાતે આવેલી ધર્મશાળામાં વિસામો લીધો અને જાહેરસભા સંબોધીને આણંદ માટે રવાના થઈ હતી. જે સાંજના સમયે આણંદ પહોંચી હતી. જે દિવસે ગાંધીએ રાત્રિ વિસામો ચરોતર એજ્યુકેશન સોસાયટીના મેદાનમાં કર્યો હતો. જે ઝાડ નીચે બેસીને ગાંધીજી જાહેરસભાને સંબોધી હતી અને જે ચરોતર એજ્યુકેશન સોસાયટીના મેદાનને ગાંધી ચોક અને જે મકાનમાં રાત્રિ રોકાણ કર્યું હતું તે વિઠ્ઠલકાકા ભવનને મહાત્મા કુટીર તરીકે ઓળખ મળી છે.વર્તમાન સમયમાં છેલ્લા દાયકાથી ચરોતર ઈગ્લિંશ મીડિયમ સ્કુલ ચાલી રહી છે.
દાંડીકૂચ – આણંદ, બોરસદ અને કંકાપુરા રાત્રિ રોકાણ
જે લીમડાનાં ઝાડ નીચે બેસીની સભાને સંબોધી હતી તે ઝાડ આજે પણ અડીખમ ઉભું છે અને જ્યારે સ્કુલના બાળકો આ ઝાડ નીચે બેસીને રમતે કે કોઈ અન્ય પ્રવૃતિ કરે છે ત્યારે તેમને જોઈને આઝાદીનું મહત્વ સમજાય છે. દાંડીકૂચ અંગે વિશેષ જાણકારી ધરાવતા અને બોચાસણ ખાતે આવેલી વલ્લભ વિધાલય સ્કુલના સંયોજક ઉદેસિંહ સોલંકી જણાવે છે કે સત્તરમી માર્ચે સોમવાર હતો જે કારણોસર ગાંધીજી દર સોમવારે મૌન રાખતા હતા. અને તે દિવસે જે તે સ્થળે રાત્રિરોકાણ કરી લેતાં જેથી દાંડીકૂચ દરમ્યાન ગાંધીજીએ આણંદ ખાતે બે દીવસ રાત્રિરોકાણ કર્યું હતું. અને ત્યાર બાદ 18મી માર્ચે સવારે આણંદથી દાંડીકૂચ નીકળીને નાપા ખાતે વિસામો લઈને સાંજે બોરસદ ખાતે પહોંચ્યા હતાં.
બોરસદ
18મી માર્ચે બોરસદમાં આવેલી દાંડીકૂચ ઝવેરબેન ડાહ્યાભાઈ પટેલ કન્યા વિધાલય ખાતે આવી હતી. જ્યાં સાંજે ગાંધીજીએ સભાને સાંજે સંબોધી હતી. જે ઝરૂખામાંથી વિશાળ જનમેદનીને ગાંધીજીએ સંબોધી હતી તે બાબતે વિશેષ જણાવતાં સ્કુલના આચાર્ય મોહનીબેન પંચાલ કહે છેકે આ ઝરૂખા માટે રિનોવેશન બાબતે રજૂઆત થઈ હતી પરંતુ અમે સ્વખર્ચે ઝરૂખાની સારસંભાળ લઈ રહ્યાં છીએ. જે માટે જરૂરી પેઈન્ટીંગ અને કલરકામ જાતેજ કરાવી રહ્યાં છીએ. આ શાળામાં આવેલો દાંડીકૂચની યાદ અપાવી રહેલા અમૂલ્ય વારસાથી અમારી સ્કુલના બાળકોમાં ગાંધીવાદી મુલ્યોનું સિંચન થાય અને તે બાબતે જાણવાની ઈચ્છાશક્તિ પેદા થાય. ગાંધીજીએ આ શાળાના મકાનમાં જ રાત્રિરોકાણ કર્યું હતું અને સવારે દાંડીકૂચ રાસ તરફ રવાના થઈ હતી.
રાસ ગામે પહોંચી હતી દાંડીકૂચ
19મી માર્ચે સવારે રાસ ગામે દાંડીકૂચ આવી પહોંચી હતી જ્યાં ગાંધીજીએ ગામના પાદરે સભા સંબોધીને કંકાપુરા તરફ રવાના થયા હતા જે સાંજના સમયે કંકાપુરા ખાતે આવી પહોંચી હતી. કંકાપુરામાં ગાંધીજીએ રાત્રિ રોકાણ કર્યું હતું અને સાંજના સમયે સભાને સંબોધી હતી.
કંકાપુરામાં દાંડીકૂચના સંભારણા
કંકાપુરામાં પ્રવેશતાની સાથે જે ચોતરે ગાંધીજીએ સભા સંબોધી હતી તે આજે પણ કંકાપુરા ગામમાં પ્રવેશતાની સાથે નજરે ચઢી જાય છે. કંકાપુરામાં દાંડીકૂચ બાબતે બોલી શકે તેવા એક માત્ર એક જ વ્યક્તિ અને સંબંધે કંકાપુરા ગામની છોકરી એવાં તારાબેન છે જેમનો જન્મ વર્ષ 1930માં થયો હતો. અને જેમણે તેમના વડીલો પાસેથી દાંડીકૂચ બાબતે સાંભળેલી વાતાને વાગોળતા જણાવે છે કે ગાંધીજીની સભા ગામના ચોતરે થઈ હતી. જેમાં વીસ હજાર જેટલી જનમેદની ભેગી થઈ હતી. ગાંધીજીને સવારે મહિસાગર નદી પાર કરવાની હતી. અને તે દાંડીકૂચમાં સૌથી વસમો રસ્તો હતો.
ગાંધીજીનું કંકાપુરામાં રાત્રિ રોકાણ
અમદાવાદથી લઈને કંકાપુરા સુધી ગાંધીજીએ માત્ર રસ્તાઓમાં ચાલ્યાં હતાં પરંતુ કંકાપુરાથી કારેલી તરફ જવા માટે નાવડીની વ્યવસ્થા કરવામાં આવી હતી. 19મી માર્ચે ગાંધીજીનું કંકાપુરામાં રાત્રિ રોકાણ હતું. તે રાત્રિ રોકાણ અમારી પોળ બહ્રમપોળમાં કરવામાં આવ્યું હતું. અમારા વડીલો દ્રારા રાત્રિ રોકાણની તેમજ બકરીના દૂધની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.