સન ઑફ ગુજરાત: તસવીરોમાં નિહાળો ચરોતર સાથે જોડાયેલી સરદારની યાદો
ચરોતર, [રાકેશ પંચાલ] અડગ મનના માનવી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી દર વર્ષે થાય છે. જેમાં આમથી લઈને ખાસ દરેક પોતપોતાની રીતે ઉજવણી કરે છે. પરંતુ આ વર્ષે જાણે સરદાર પ્રતિમાએ લોકોને એક તાંતણે બાંધી દીધા હોય તેવું વાતાવરણ સર્જાઈ ગયું છે. સરદારની જન્મભૂમિ ચરોતર પંથકમાં સરદાર જયંતિના દિને ઠેર ઠેર વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થયું છે. આ ઉપરાંત આ વર્ષે સરદારની પ્રતિમાનું શિલાન્યાસ સરદાર બંધની નજીક સાધુ બેટ પર થવા જઈ રહ્યું છે. જે વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની ઊંચાઈ ધરાવતી પ્રતિમા બનવા જઈ રહી છે. જેને લઈને પણ લોકોમાં ભારે ઉત્સાહ જોવાઈ રહ્યો છે.
સરદાર, પટેલ અને મોદીનું રાજકીય કનેક્શન
ચરોતર પંથક અનેક દાયકાઓથી સરદારની સ્મૃતિને પોતાના ખોળે સાચવીને બેઠું છે. ચરોતર પંથકમાં ઠેર ઠેર સરદારની પ્રતિમાઓ આવી છે. જન્મજયંતિ અને પુણ્યતિથિએ સમય અનુસાર જાગૃત નેતા અને લોકસેવક તેમને યાદ પણ કરતા આવ્યાં છે. પરંતુ આ વખતે સરદારની જન્મજયંતિએ આમ હોય કે ખાસ દરેકને એક તાંતણે બાંધી દીધા હોય તેવા વાતાવરણનું નિર્માણ થયું છે.
વધુ સમાચાર જોવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ
ચરોતર અને સરદાર
આ ચરોતરના સરદારે તેમના જીવનકાળમાંથી ત્રેવીસ વર્ષ જેટલો સમય ચરોતરમાં વીતાવ્યો હતો. જે દરમ્યાન તેમણે બાળપણ, મેટ્રીક સુધીનો અભ્યાસ, વકીલાતનો વ્યવસાય અને લગ્ન અને સંતાનપ્રાપ્તિનું સુખ અને પત્નીથી વિખૂટા પડવાનું દુ:ખ જોયું છે. ચરોતર સાથે સરદારનાં જીવનની અનેક યાદો સંકળાયેલી છે. આ યાદ સ્વરૂપે વર્ષોથી સચવાયેલી ચીજ-વસ્તુઓનો ઉપયોગ બાળકોના જીવન ઘડતર માટે કરવામાં આવે તો અનેક સરદારનો જન્મ થઈ શકે તેમ છે. જે સરદારના જન્મની ખરી જન્મજયંતિ હશે તેમ આ દિશામાં કામ કરી રહેલો અમુક વર્ગ માને છે.
પ્રાથમિક શિક્ષણ
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31મી ઓક્ટોમ્બરના રોજ થયો હતો. તેમનો ઉછેર ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલા કરમસદ ગામમાં થયો હતો. કરમસદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલે પ્રાથમિક તેમજ અંગ્રેજીમાં ત્રીજા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો અને ચોથુ ધોરણ આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં પૂર્ણ કર્યું હતું. નડિયાદની સરકારી અંગ્રેજી શાળામાં રર વર્ષની વયે મેટ્રીકની પરીક્ષા પાસ કરી હતી.
નજરે જોયા છે સરદારને
આ પ્રેરણાદાયી અમુલ્ય વારસોનો ઉપયોગ બાળકોના જીવન ઘડતરમાં થાય તે હેતુથી નડિયાદમાં રહેતા 77 વર્ષના ક્રાંતિકારી અમૃતભાઈ પટેલ વર્ષોથી કામ કરી રહ્યાં છે. સરદારની યાદોને વાગોળતા જણાવે છેકે તે સમય અલગ હતો. તેમણે સરદારને પોતાની આંખે રૂબરૂમાં 16 વર્ષની વયે જોયા હતા. તેમનો વ્યવહાર સામાન્ય, સરળ અને સ્વભાવે નીડર હતાં. ચોખ્ખું બોલનારા અને ધ્યાનથી સાંભળનારા લોકનાયક જેવી છબી હતી. સરદારના જીવનથી બાળકોને પ્રેરણા મળે તે હેતુથી ક્રાંતિકારી અમૃતલાલ પટેલ અનેક સ્કુલોમાં નાના-મોટા કાર્યક્રમોનું આયોજન કરે છે. જેમાં તેઓ બાળકોને સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને તેમના અમુલ્ય વારસા સાથે રૂબરૂ મુલાકાત ગોઠવે છે. અને સરદારના જીવન વિશેની માહિતી આપે છે. જેથી બાળકો સાચી દિશામાં પ્રેરણા લઈ શકે.
સરદાર જેવા નેતા મળવા મુશ્કેલ છે. પરંતુ તે અશક્ય નથી
અમૃતભાઈ પટેલના મતે 31મી ઓક્ટોમ્બરના રોજ દેશભરમાં દરેક જગ્યાએ સરદાર પટેલની જન્મજયંતિના ભાગરૂપે તેમની પ્રતિમાને હાર ચઢાવીને તેમને યાદ કરવામાં આવે છે. પરંતુ આ લોકનાયક અને સરદારનાં જીવનચરિત્રથી બાળકો પ્રેરણા લઈ શકે તે દિશામાં કામ કરવાની જરૂર છે. તે દિશામાં કામ કરવા માટે ચરોતરમાં આવેલો સરદારનો વારસો અમુલ્ય યોગદાન આપી શકે તેમ છે. જોકે સરદાર જેવા નેતા મળવા મુશ્કેલ છે. પરંતુ તે અશક્ય નથી. તે દિશામાં જો બાળકોનાં ચરિત્રનું ઘડતર કરવામાં આવે તો અનેક સરદાર બની શકે. પરંતુ તે દિશામાં અનેક લોકોએ કામ કરવું પડશે.
સરદારની સામગ્રીની સાચવણી
નડિયાદના મોગલકોટ વિસ્તારમાં આવેલ સરકારી અંગ્રેજી શાળામાં રર વર્ષની વયે સરદાર વલ્લભભાઈ પટેલે મેટ્રીકનો અભ્યાસ કર્યો હતો. તે વર્ષ દરમ્યાન નડિયાદની સરકારી અંગ્રેજી સ્કુલનાં રજીસ્ટરમાં સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લખવામાં આવ્યું હતું. તે રજીસ્ટર તેમજ સરદાર જે પાટલી અને પાથરણાં ઉપર બેસીને અભ્યાસ કર્યા હતા. તે દરેક સામગ્રી સ્કુલમાં સાચવી રાખવામાં આવી છે.
મારા જીવનનો પ્રથમ ફોટો સરદારનો હતો
વર્ષોથી પ્રેસ ફોટોગ્રાફર તરીકે કામ કરી રહેલા 83 વર્ષના મનહર ચોક્સીના મતે 1947માં સરદાર વલ્લભભાઈ પટેલ નડિયાદ ખાતે વિઠ્ઠલભાઈ પટેલની પ્રતિમાના ઉદ્ધાટન પ્રંસગે આવ્યાં હતા. તે દરમ્યાન મારા બોક્સ કેમેરાથી મારા જીવનનો પહેલો ફોટો લીધો હતો. તે ફોટો અને કેમરો આજે પણ સાચવીને રાખ્યાં છે. તે મારી માટે સરદાર સાથે સંકળાયેલો અમુલ્ય વારસો છે. અને જેમ વર્ષો જાય છે તેમ વધુને વધુ અમુલ્ય બની રહ્યો છે.