અનુરાધા પૌડવાલ : પણ ‘આશિકી’એ કરાવ્યું ‘અભિમાન’
મુંબઈ, 27 ઑક્ટોબર : સને 1973માં આવેલી હૃષિકેશ મુખર્જીની ફિલ્મ અભિમાન એમ તો અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન માટે જાણીતી છે, પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે આ ફિલ્મમાં આવતા એક સંસ્કૃત શ્લોકમાં અનુરાધા પૌડવાનો સ્વર છે. છેક 1973થી કૅરિયરની શરુઆત કરનાર અનુરાધા પૌડવાલે લાંબા સંઘર્ષ બાદ આશિકી ફિલ્મના ગીતોએ ઓળખ આપી.
અનુરાધા પૌડવાલનો આજે 59મો જન્મ દિવસ છે. 27 ઑક્ટોબર, 1954ના રોજ મુંબઈ ખાતે જન્મેલા અનુરાધા પૌડવાલ બાળપણથી સંગીત પ્રેમી હતાં અને પાર્શ્વ ગાયિકા બનવાના સ્વપ્ના સેવતા હતાં. પોતાના સપના સાકાર કરવા તેમણે બૉલીવુડનો રુખ કર્યો. તેમને બ્રેક મળ્યું અભિમાન ફિલ્મમાં કે જેમાં જાણીતા સંગીતકાર એસ ડી બર્મનના દિગ્દર્શન હેઠળ એક સંસ્કૃત શ્લોક ગાવાનુ હતું. અનુરાધાના સુરથી અમિતાભ બચ્ચન બહુ પ્રભાવિત થયાં. 1974માં અનુરાધા પૌડવાલને મરાઠી ફિલ્મ યશોદામાં પણ પાર્શ્વ ગાયનની તક મળી, તો 1976માં રિલીઝ થયેલી કાલીચરણ ફિલ્મમાં તેમનું ગીત એક બટા દો દો બટા ચાર... બાળકોમાં ખૂબ જ લોકપ્રિય બન્યું.
દરમિયાન અનુરાધાએ આપબીતી, ઉધાર કા સિંદૂર, આદમી સડક કા, મૈંને જીના સીખ લિયા, જાને મન અને દૂરિયાં જેવી બી તેમજ સી ગ્રેડ ધરાવતી ફિલ્મોમાં પાર્શ્વ ગાયન કર્યું, પણ તેમને કોઈ ખાસ ફાયદો ન થયો. સાત વરસ સુધી સંઘર્ષ કર્યા બાદ અનુરાધાને 1980માં પહેલી સફળતા મળી. જૅકી શ્રૉફ તથા મિનાક્ષી શેષાદ્રી અભિનીત હીરો ફિલ્મમાં અનુરાધા પૌડવાલને તક મળી અને તેમણે લક્ષ્મીકાંત પ્યારેલાલના સંગીત દિગ્દર્શન હેઠળ તૂ મેરા જાનૂ હૈ તૂ મેરા દિલબર હૈ... ગીત ગાયું. આ ગીત જોરદાર હિટ રહ્યું અને અનુરાધા પૌડવાલ બૉલીવુડમાં કેટલીક હદે ઓળખ સ્થાપવામાં સફળ થયાં. તે પછી 1986માં આવેલી ઉત્સવ પાર્શ્વ ગાયિકા તરીકે અનુરાધાના કૅરિયરની મહત્વની ફિલ્મ સાબિત થઈ. તેમાં તેમને મેરે મન બજા મૃદંગ... ગીત ગાવાની તક મળી અને આ ગીત માટે તેમને ફિલ્મફૅર પુરસ્કાર પણ મળ્યું.
જુઓ તસવીરો સાથે અનુરાધા પૌડવાલની આશિકી :
આશિકીએ ચમકાવી કિસ્મત
અનુરાધા પૌડવાલની કિસ્મતનો સિતારો 17 વર્ષે ચમક્યો કે જ્યારે 1990માં આશિકી ફિલ્મ રિલીઝ થઈ. આ ફિલ્મની સફળતાનો આધાર બહેતરીન ગીત-સંગીત હતાં અને ફિલ્મના તમામ ગીતો સુપરહિટ રહ્યા હતાં કે જેમાં ફીમેલ સિંગર અનુરાધા પૌડવાલ હતાં.
સદાબહાર ગીતો
આશિકી ફિલ્મે અનુરાધા પૌડવાલ જ નહીં, પણ અભિનેતા રાહુલ રૉય, ગીતકાર સમીર, સંગીતકાર નદીમ-શ્રવણ અને પાર્શ્વ ગાયક કુમાર શાનુની કિસ્મત પણ ચમકાવી દીધી. આ ફિલ્મના તમામ ગીતો સદાબહાર સાબિત થયાં કે જે આજે પણ લોકો કાન દઈને સાંભળે છે.
સ્થાપિત થયા અનુરાધા
આશિકી ફિલ્મના મંત્રમુગ્ધ ગીત-સંગીત અને એક ફીમેલ સિંગર તરીકે અનુરાધાનો અવાજ લોકોને એટલો બધો ગમ્યો કે અનુરાધ બૉલીવુડમાં સ્થાપિત થઈ ગયાં.
સાંસોં કી જરૂરત...
આશિકી ફિલ્મના ગીતો નઝર કે સામને જિગર કે પાસ..., અબ તેરે બિન જી લેંગે હમ..., ધીરે ધીરે સે મેરી ઝિંદગી મેં આના... મૈં દુનિયા ભુલા દૂંગા તેરી ચાહત મેં... અને મેરા દિલ તેરે લિયે ધડકતા હૈ... જબર્દશ્ત હિટ રહ્યા હતાં અને તમામ ગીતોમાં અનુરાધા પૌડવાલે કુમાર શાનુ સાથે પોતાના અવાજનો જાદૂ પાથર્યો હતો.
બીજી વાર ફિલ્મફૅર
આશિકી ફિલ્મે અનુરાધા પૌડવાલને બીજી વાર ફિલ્મફૅર ઍવૉર્ડ અપાવ્યો હતો. આ ફિલ્મના ગીત નઝર કે સામને જિગર કે પાસ... ગીત માટે સર્વશ્રેષ્ઠ પાર્શ્વ ગાયિકાનો ફિલ્મફૅર ઍવૉર્ડ મળ્યો હતો.