દિલીપ કુમારની હાલત કથળી, ડૉક્ટરોએ કરી પુષ્ટિ
બુધવારે રાત્રે દિલીપ કુમારને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ડૉક્ટરો અનુસાર દિલીપ કુમારની હાલત વધુ બગડી છે.
લોકપ્રિય અભિનેતા દિલીપ કુમારને બુધવારે રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 94 વર્ષીય અભિનેતા દિલીપ કુમારને અવાર-નવાર સ્વાસ્થ્યને લગતી ફરિયાદો રહે છે. તેમને ડિહાયડ્રેશન અને યુરિન ઇન્ફેક્શનની ફરિયાદને કારણે મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમની રિકવરીની ખબરો વચ્ચે હવે સાંભળવા મળી રહ્યું છે કે, તેમની હાલત વધુ કથળી છે. દિલીપ કુમારની સારવાર કરી રહેલ ડૉ.જલીલ પાર્કરે આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું છે કે, દિલીપ કુમારની હાલ વધુ બગડી છે, તેમની કીડની બરાબર કામ નથી કરી રહી.
ડૉક્ટરે ગુરૂવારે રાત્રે જણાવ્યું હતું કે, 'દિલીપ કુમારની કીડની બરાબર કામ નથી કરી રહી, તેમાં કોઇ સુધારો પણ જોવા નથી મળ્યો. તેઓ હાલ વેન્ટિલેટર પર છે. આ અંગે વધુ ચોક્કસ માહિતી સવારે જ આપી શકાશે.' તેમના પત્ની સાયરા બાનુએ આ અંગે કહ્યું હતું કે, મને આશા છે તેઓ પોતાના ફેન્સ અને શુભ ચિંતકોની પ્રાર્થનાને પરિણામે જલ્દી જ સાજા થઇ જશે. ડૉક્ટરો તેમની સારવાર કરી રહ્યાં છે.