ભરૂચ જેલમાંથી 60 કેદીઓનું નાસી છૂટવાનું ષડયંત્ર ઝડપાયું
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ સબજેલના ઇન્ચાર્જ જેલ અધિક્ષક મહેન્દ્ર રાઠવાએ સબજેલ ખાતે એક રૂટીન ચેકઅપ કર્યું હતું. જેમાં પ્લાસ્ટીકની ટેપમાં વીંટળાયેલી હેક્સોબ્લેડ મળી આવી હતી. જેના આધારે વધુ તપાસ હાથ ધરતા અન્ય એક તીક્ષ્ણ બ્લેડ મળી આવી હતી. જેથી જેલ અધિક્ષક ચોંકી ઉઠયા હતા અને તેમણે કેદીઓ દ્વારા ભાગી છૂટવા માટેના ષડયંત્રનું અનુમાન લગાવી એલસીબી, એસઓજી અને બોમ્બ સ્કોડને સાથે રાખી જેલમાં સઘન કોમ્બીંગ હાથ ધર્યું હતું.
આ તપાસ દરમિયાન બેરેક નંબર 10ના સિલીંગ ફેનના ઉપરના બાઉલમાંથી બે મોબાઇલ, બેટરી તથા ચાર્જર મળી આવ્યા હતા. સાથે સાથે જેલના બેરેકના કેદીઓની પણ અંગ જડતી અને પૂછપરછ કરવામાં આવી હતી.
સઘન કોમ્બીંગ દરમિયાન બેરેક નંબર 11ના ટોઇલેટના વેન્ટીલેશનનો સળિયો નીચેથી કપાયેલી હાલતમાં મળી આવ્યો હતો. જેના આધારે અનુમાન લગાવવામાં આવ્યું હતું કે કેદીઓએ જેલમાંથી ભાગી જવાના હતા. ઇન્ચાર્જ જેલ અધિક્ષક મહેન્દ્રસિંહ રાઠવાએ કેદીઓના નાસી છુટવાના ષડયંત્ર અંગે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે 60 કેદીઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ સાબરમતી જેલમાંથી કેદીઓ ભાગવાના ષડયંત્ર બાદ ભરૂચ જેલમાંથી આ ષડયંત્ર ઝડપાતા વડોદરા રેન્જ આઇજીપણ ગંભીર બન્યા છે.