ઘોઘંબામાં કારમો અકસ્માત, 6 વિદ્યાર્થીઓના મોત, 13 ઘાયલ
નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઇ પરત ફરી રહી હતી, રસ્તામાં જીપ એક ઝાડ સાથે અથડાતાં પલટાઇ ગઇ હતી.
રવિવારે સવારે ઘોઘંબા ખાતે રોડ અકસ્માત માં નર્સિંગ કોલેજની 6 વિદ્યાર્થીનીઓનું મૃત્યુ થયું હતું. વિદ્યાર્થીઓને લઇ પરત ફરી રહેલી જીપ ઝાડ સાથે અથડાઇને પલટાઇ ગઇ હતી. આ ઘટનામાં બીજા 13 લોકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર છે. આ વિદ્યાર્થીનીઓ ઝાલોદની એક નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી હતી, તેઓ બારડોલી થી એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા ગઇ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, આ તમામ વિદ્યાર્થીનીઓ 17થી 22 વર્ષની અંદરની હતી. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઇ તેઓ પાછા ફરી રહ્યા હતા, તે સમયે રુપારેલ ગામ પાસે આ બનાવ બન્યો હતો. વધુ પડતી ઝડપને કારણે ડ્રાઇવરે જીપ પરનું નિયંત્રણ ગુમાવી દેતાં જીપ એક ઝાડ સાથે અથડાઇ ઊંધી વળી ગઇ હતી. આ ભીષણ અકસ્માતમાં પાંચ વિદ્યાર્થીનીઓનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે એક વિદ્યાર્થીની હોસ્પિટલમાં મૃત્યુ પામી હતી.
અહીં વાંચો - લેણદારોથી બચવા કાકાએ જ કરી 12 વર્ષના ભત્રીજાની હત્યા
આ સિવાય ઘાયલ થયેલા અન્ય 13 લોકોને નજીકની ગોધરા ખાતેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, આમાંથી 3ને વધુ સારવાર અર્થે વડોદરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડ્રાઇવર પણ ગંભીર રીતે ઘાયલ છે, તેની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં વિદ્યાર્થીનીઓના મૃત્યુ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી એ શોક વ્યક્ત કર્યો છે.