ભાજપાના ઝંઝાવાતી ચૂંટણી પ્રચારનો ૨૫ નવેમ્બરથી પ્રારંભ

* ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ પરશોત્તમ રૂપાલા સુરત શહેરમાં ત્રણ સભાઓ સંબોધશે.
ગુજરાત વિધાનસભાની ૧૩ અને ૧૭ નવેમ્બરના રોજ યોજાનારી ચૂંટણીના પ્રચારનો પ્રારંભ ભાજપા દ્વારા તા. ૨૫ નવેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન યોજાનાર છે તેવા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ૫૫થી વધુ સ્થાનો પર એક સાથે જાહેરસભાઓ યોજીને પ્રચાર કરવામાં આવશે અને ગુજરાતમાં સાર્વત્રિક કમળ લહેર ઉભી કરાશે.
ભાજપાના પ્રદેશ પ્રવકતાઓ આઇ. કે. જાડેજા અને મનસુખ માંડવીયાએ ભાજપાના ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર સભાઓની વિગતો આપતા જણાવ્યું છે કે ભાજપાના રાષ્ટ્રીય નેતા અને રાજયસભાના વિપક્ષના નેતા અરૂણ જેટલીજી ૨૫ નવેમ્બરના રોજ જામનગર શહેરની બે વિધાનસભા બેઠકો પર સાંજે ૬.૦૦ અને ૭.૦૦ કલાકે સભાઓને સંબોધશે. ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી તેમજ ભાજપાના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથસિંહજી ભાવનગર ખાતે જુદા જુદા સ્થાનો પર જાહેરસભાઓને સંબોધશે. ભાવનગર ગ્રામ્યમાં ૨.૩૦ કલાકે, ભાવનગર પૂર્વ ૫.૦૦ કલાકે અને ભાવનગર પશ્ચિમમાં સાંજે ૬.૦૦ કલાકે સભાઓ સંબોધશે.
ભાજપાના રાષ્ટ્રીય નેતા તેમજ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ વૈંકેયા નાયડુજી જંબુસર, ૨.૩૦ કલાકે, અંકલેશ્વર ૫.૦૦ કલાકે અને ભરૂચમાં ૭.૦૦ કલાકે એમ ત્રણ સ્થાનો પર સભાઓને સંબોધશે.
ભાજપાના પ્રવકતાઓએ પ્રચાર અભિયાનની વિગતોમાં વધુમાં જણાવ્યું છે કે ૨૫ નવેમ્બરના રોજ ભાજપા શાસિત મધ્યપ્રદેશના યુવા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સુરત જીલ્લાના ઓલપાડ ખાતે ૪.૦૦ કલાકે, કારંજ ખાતે ૫.૩૦ કલાકે અને મજુરા ખાતે ૭.૦૦ કલાકે સભાને સંબોધશે. ઝારખંડના મુખ્યમંત્રી અર્જુન મુંડા નવસારી જીલ્લાના ગણદેવી ખાતે ૪.૩૦ કલાકે સભા સંબોધશે. ભાજપાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તેમજ ચૂંટણી પ્રચાર સમિતિના ગુજરાતના અધ્યક્ષ પરશોત્તમભાઈ રૂપાલા સુરત શહેરમાં ત્રણ સભાઓ સંબોધશે. સુરત પૂર્વમાં ૫.૦૦ કલાકે, સુરત ઉત્તરમાં ૬.૦૦ કલાકે અને વરાછા રોડ ૭.૩૦ કલાકે સભા સંબોધશે.
તેઓએ અંતમાં જણાવ્યું છે કે તા. ૨૫ નવેમ્બરના રોજ ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજકોટ જીલ્લામાં, ભાજપાના મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષા મતી સ્મૃતિ ઇરાની ભાવનગર જીલ્લામાં, હુકમદેવ નારાયણ સુરત જીલ્લામાં, શ્યામ જાજુ વલસાડ, બલબીરજી પુંજ સુરેન્દ્રનગર, હરિન પાઠક જુનાગઢ, ફગનસિંહ કુલસ્તે વલસાડ, માધવ ભંડારી ડાંગ, ઓમપ્રકાશ ધનકડ સુરત, જુઆલ ઓરમ તાપી અને સુરત, ઓમ માથુર જામનગર, વિજય ગોયલ અમદાવાદ જીલ્લામાં જાહેરસભાઓને સંબોધશે.
ગુજરાતમાં તા. ૨૫, ૨૬ બે દિવસમાં પ્રથમ તબક્કાની તમામ ૮૭ બેઠકો પર ચૂંટણીસભાઓ યોજી ભાજપા ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. ભાજપાના રાષ્ટ્રીય નેતાઓ સાથે પ્રદેશના આગેવાનો પણ પ્રચારકાર્યમાં અને સભાઓમાં જોડાશે.












Click it and Unblock the Notifications
