કેમ ભાજપને વિકાસ છોડી હિંદુત્વની યાદ આવી?
ભાજપને કેમ ગુજરાતમાં વિકાસનો મુદ્દો બાજુમાં મુકી આવી હિંદુત્વની યાદ? કેમ યોગી આદિત્યનાથ છે ગુજરાતમાં ભાજપના સ્ટાર પ્રચારક જાણો અહીં.
ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણી આ પહેલા થયેલી તમામ ચૂંટણી કરતા અલગ છે. પહેલાની ચૂંટણીમાં તો ખુદ નરેન્દ્ર જ મુખ્યમંત્રી તરીકે હાજર હતા અને બહુ ઓછા કેન્દ્રીય મંત્રીઓ વિધાનસભાની ચૂંટણી વખતે આવતા અને ભાજપ સરળતાથી ચૂંટણી જીતી જતું. મોદી જેટલી વાર મુખ્યમંત્રી રહી આ ચૂંટણી લડ્યા છે ત્યારે વિકાસના જ મુદ્દાને આગળ કર્યો છે. પણ આજે જ્યારે ભાજપ પાછલા 20 વર્ષથી ગુજરાતમાં સત્તામાં છે ત્યારે આ ચૂંટણીમાં ખાલી વિકાસના ગીત ગાઇને ચૂંટણી નહીં જીતાય તે વાત ભાજપ પણ જાણે છે. અને આ માટે તેણે તેના જૂના અને જાણીતા મુદ્દા હિંદુત્વની યાદ આવી છે. અને તેના જ પરિણામરૂપે તમે જોઇ શકો કે હાલ યોગી આદિત્યનાથ ગુજરાતના બે દિવસીય પ્રવાસ પર છે. તેમને આ ચૂંટણીમાં સ્ટાર પ્રચારક તરીકે ભાજપે રજૂ કર્યા છે. એટલું નહીં ઉમા ભારતી પણ અહીં પ્રચાર માટે આવ્યા હતા. અને તેમણે ગાંધીજીની હત્યાથી કોને ફાયદો થયો છે તેવા મુદ્દા પર ગુજરાતમાં ટિપ્પણી પણ કરી હતી. ત્યારે સવાલ તે છે કે વિકાસના રાગ આલાપી ગુજરાતમાં અને કેન્દ્રમાં જીતેલી ભાજપ સરકારને વળી પાછો હિંદુત્વવાળો મુદ્દો કેમ યાદ આવ્યો.
હવે વિકાસ નહીં ચાલે!
છેલ્લા પંદર વર્ષથી વિકાસના નામે ગુજરાતમાં ભાજપ જીતતી આવી છે પણ હવે ખાલી વિકાસ પર 2017ની વિધાનસભાની ચૂંટણી નહીં જીતાય. કારણ કે ખાલી રસ્તા બનાવાથી વિકાસ નથી થતો તે વાત લોકો હવે જાણી ગયા છે. રોજગારી, અનામત, દારૂ અને નશાની લત્ત, ગરીબી, ખેડૂતોના પ્રશ્નો તેવા અનેક મુદ્દા છે જેના પર લોકો ભાજપ સરકારથી નાખુશ છે. વળી તેમાં નોટબંધી અને જીએસટીએ વધારો કર્યો છે.
હિંદુત્વ
કેરળમાં પણ યોગીની સ્ટાર પ્રચારક રૂપે અમિત શાહે રજૂ કર્યા હતા. અને ગુજરાત સમેત હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પણ તે પ્રચાર પ્રસાર માટે જશે. ગુજરાતમાં હિંદુઓની સંખ્યા વધુ છે અને હિંદુત્વના મુદ્દે અહીં લાંબા સમયથી રાજકારણ ચાલતું આવ્યું છે અને ચાલતું રહેશે. બીજા શબ્દોમાં કહીએ તો આ ભાજપનું ટ્રાય એન્ડ ટેસ્ટેડ હથિયાર છે. અને આજ કારણ છે કે હાલ નવસારી અને વલસાડમાં યોગી આદિત્યનાથ કોંગ્રેસ પર એક પછી એક પ્રહારો કરી રહ્યા છે
કરો યા મરોની સ્થિતિ
છેલ્લા બે મહિના પર તમે નજર કરશો તો જાણશો કે મોદીની કેબીનેટના અડધાથી વધુ મંત્રીઓ તે પછી અરુણ જેટલી હોય, સ્મૃતિ ઇરાની હોય ઉમા ભારતી હોય કે યોગી આદિત્યનાથ હોય. આ તમામ ગુજરાતની મુલાકાતે છે. અને આવનારા દિવસોમાં પણ ગુજરાત ખાતેની તેમની આ ઉડાઉડ ચાલુ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગત ચાર મહિનામાં એક વાર વાર ગુજરાતની મુલાકાતે હોય તેવો સંજોગ બને છે. જે બતાવે છે કે આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પીએમ મોદી અને ભાજપ માટે કેટલી જરૂરી છે.
કેમ ગુજરાત?
લાંબા સમય પછી હવે ભાજપ ખરા અર્થમાં એક રાષ્ટ્રીય પાર્ટી છે. ગોવા હોય કે જમ્મુ કાશ્મીર, ઉત્તર, પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ જ્યાં જુઓ ત્યાં મોટા પ્રમાણમાં ગત ત્રણ વર્ષમાં કેસરિયો લહેરાવ્યો છે. ઉત્તરપ્રદેશમાં પણ ભાજપની જોરદાર જીત ટૂંકમાં ધણું કહી જાય છે. ત્યારે જે ગુજરાત મોડલ પર ભાજપ આ તમામ રાજ્યોમાં એક પછી એક જીતી રહી છે તે રાજ્યમાં જ આ વખતે તેનું જીતવું ખૂબ જ જરૂરી છે. ગુજરાતમાં ભાજપની હાર પાર્ટીની ઇમેજનો કચરો કરી નાંખશે વાત ભાજપ પણ જાણે છે. એટલે જ તો આ વખતે તેણે તેના તમામ ખેલાડીઓને ગુજરાત તરફ દોટ લગાવતા કરી દીધા છે.