મોરબીથી પ્રતિક ઉપવાસ શરૂ કરી હાર્દિક પટેલે ફરી આંદોલન સક્રિય કર્યું
મોરબીથી પ્રતિક ઉપવાસ શરૂ કરી હાર્દિક પટેલે ફરી આંદોલન સક્રિય કર્યું
મોરબીઃ ગાંધી જયંતિના દિવસે હાર્દિક પટેલે એક દિવસના પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે. હાર્દિક પટેલે મોરબી જિલ્લાને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા અને ખેડૂતોને પાક વિમો આપવાની તથા અલ્પેશ કથારિયાની જેલ મુક્તિ, ખેડૂતોનું દેવું માફી અને પાટીદારોને અનામત આપવાની માગણી સાથે પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે. છેલ્લે 19 દિવસના અમરણાંત ઉપવાસ કર્યા બાદ હાર્દિક પટેલ સારવાર માટે બેંગ્લોરના જિંદાલ નેચરક્યોરમાં ગયો હતો. હવે તંદુરસ્ત થઈ ગયા બાદ હાર્દિક પટેલે ફરી આંદોલન સક્રિય કર્યું છે.
મોરબીમાં કર્યા પ્રતિક ઉપવાસ
મોરબી જિલ્લાના બગથળા ગામે હાર્દિક પટેલે પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે. આજે 11.30 વાગ્યેથી સાંજના 5 વાગ્યા સુધી હાર્દિક પટેલ ઉપવાસમાં બેસનાર છે. સોમવારે હાર્દિક પટેલે મોરબી જિલ્લાના નવાગામ ખાતે રાત્રી વિશ્રામ કર્યો હતો, હાર્દિકે ટ્વીટ કરીને લખ્યું કે ગામના ખેડૂતોએ હ્રદયથી મારું સ્વાગત કર્યું હું એમનો આભારી છું. અહીં હાર્દિક પટેલના ગામના લોકો સાથે ચોક પે ચર્ચા કાર્યક્રમ દરમિયાન ચર્ચા કરી હતી. હાર્દિક પટેલે કહ્યું કે આજે સૌરાષ્ટ્રમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યાને કારણે ગામો બરબાદ થઈ રહ્યાં છે.
અગાઉ કર્યા હતા અમરણાંત ઉપવાસ
ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે 25મી ઓગસ્ટથી અમદાવાદમાં કરેલા અમરણાંત ઉપવાસ દરમિયાન દેશભરના વિપક્ષી નેતાઓ સહિતના લોકોએ હાર્દિક પટેલને સમર્થન આપતાં રાજ્ય સરકારની મુશ્કેલીઓ વધી હતી અને બે અઠવાડિયા બાદ સરકારે પ્રેસ કોન્ફરન્સ યોજી હાર્દિકનો ઉપવાસ પણ કોંગ્રેસ પ્રેરિત હોવાનો આરોપ લગાવ્યો હતો. સૌરભ પટેલે હાર્દિક પટેલને કોંગ્રેસની વાતોમાં ન આવવાનું કહી ડૉક્ટરની સલાહ મુજબ સારવાર કરાવી લેવાની સલાહ આપી હતી. 19 દિવસના ઉપવાસ બાદ હાર્દિક પટેલની તબિયત લથડતાં તેને સોલા સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.
આ છે માગણી
અમરણાંત ઉપવાસ દરમિયાન શરદ યાદવ, મમતા બેનરજી, ઉદ્ધવ ઠાકરે, પરેશ ધાનાણી, શક્તિસિંહ ગોહિલ, યશવંત સિન્હા, શત્રુઘ્ન સિન્હા સહિતના નેતાઓએ સમર્થન આપ્યું હતું. હાર્દિક પટેલની મુખ્ય ત્રણ માગણી છે, એક ખેડૂતોનું દેવું માફ કરવું, બીજું અલ્પેશ કથારિયાની જેલ મુક્તિ અને પાટીદાર યુવાનોને અનામત આપવું.
આ પણ વાંચો-મુસલમાનો પણ ભગવાન રામના વંશજ, મંદિર બનાવવા માટે મદદ કરે