ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પી. પી. પાંડેએ કર્યું સરેન્ડર
આ અંગેની વિગત એવી છે કે ઈશરત જહાં એન્કાઉન્ટર પ્રકરણની તપાસ કરી રહેલી સીબીઆઈએ રાજ્યના એડિશનલ ડીજીપી પી પી પાંડેને ત્રણ વાર સમન્સ પાઠવવા છતાં પાંડે સીબીઆઈ સમક્ષ હાજર ન થતાં તેમને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા.
આ પછી પુરા ત્રણ મહિના બાદ પાંડે બીમારીનું કારણ દર્શાવી હોસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા અને 29 જુલાઈએ સીબીઆઈ કોર્ટમાં હાજર થયા હતા. દરમિયાનમાં હાઈકોર્ટે તેમની છ ઓગસ્ટ સુધી ધરપકડ ન કરવા હુકમ કર્યો હતો. આજે પાંડે દ્વારા કરાયેલી જામીન અરજીને સીબીઆઈ કોર્ટે ફગાવી દેતાં હવે તેમની ધરપકડ નિશ્ચિત બની હતી.
ન્યાયાધીશ ગોપી ગીતાએ આ કેસની સુનવણી બાદ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. પાંડેની જામીન અરજી કોર્ટે ફગાવી દીધા બાદ હવે પાંડેએ આજે કોર્ટમાં ફરી અરજી કરીને બે દિવસ સુધી તેમની ધરપકડ નહીં કરવા માટેનો આગ્રહ કર્યો હતો. પાંડેએ પોતાની અરજીમાં સીબીઆઇ પર આરોપ લગાવ્યો હતો કે તેમની વિરુદ્ધ તપાસ એજન્સીની પાસે પૂરતા પુરાવા નથી. તેમને રાજકીય કાવતરા હેઠળ ફસાવવામાં આવી રહ્યા છે.
જોકે લાંબી નાટકીય દોડ-પકડ બાદ ઇશરત જહાં કેસના મુખ્ય આરોપી પી. પી. પાંડેએ આજે સીબીઆઇની સામે સરેન્ડર કરી લીધું છે. તેમના સરેન્ડર બાદ હવે સીબીઆઇ આ કેસમાં પોતાની આગળની કાર્યવાહી અને તપાસ શરૂ કરશે.