કોડનાનીને ફાંસીના મામલે ‘સીટ’ સુપ્રીમ કોર્ટનું માર્ગદર્શન લેશે
સીટના એક ટોચના અધિકારીનું કહેવું છે કે નરોડા પાટિયા કેસમાં અમારી અપીલ માટેની મંજૂરી પાછી ખેંચી લેવાના ગુજરાત સરકારના નિર્ણય અંગે અમે ટૂંક સમયમાં જ સુપ્રીમ કોર્ટની સ્પેશિયલ બેન્ચ સમક્ષ અરજી નોંધાવીશું. અમે આ મામલામાં કોઈ પ્રકારના પક્ષકાર નથી કે પ્રતિવાદી પણ નથી તેથી અમે પીટિશન ફાઈલ કરી ન શકીએ, પરંતુ અમે આ કેસ માટે સુપ્રીમ કોર્ટે નિમેલા ઓફિસરો હોઈ અમે આ મામલે અદાલતી માર્ગદર્શન માટેની અરજી નોંધાવીશું.
અગાઉ, ગુજરાત સરકારે કોડનાની તથા બાબુ બજરંગી સહિતના અપરાધીઓને ફાંસીની સજા કરાય તેવી માગણી કરતી અપીલ ગુજરાત હાઈ કોર્ટમાં કરવા માટે સીટને મંજૂરી આપી હતી, પણ બાદમાં સરકારે નિર્ણય અટકાવી દીધો છે. ગુજરાતના નાણાં પ્રધાન અને સરકારના પ્રવક્તા નીતિન પટેલે કહ્યું છે કે અમે આ નિર્ણય અટકાવી દીધો છે. અમારે રાજ્યના એડવોકેટ જનરલનો અભિપ્રાય લેવો પડશે. તે પછી જ અમે અંતિમ નિર્ણય લઈશું. કોડનાનીને સ્પેશિયલ કોર્ટે 28 વર્ષની જેલની સજા કરી છે, પણ સીટ તેમની સજાને વધારીને ફાંસી કરાવવા માગે છે.