'રોટી છીનવીને કોનું પેટ ભરી રહ્યું છે યુપીએ?'
અમદાવાદ, 20 જૂનઃ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ખાદ્ય સુરક્ષા બીલ લાવવાના કેન્દ્ર સરકારના ઇરાદાઓ પર આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, દિલ્હીમા બેઠેલી યુપીએ સરકાર તેના છેલ્લા 10 વર્ષોની નિષ્ફળતાને બચાવવા અને આગામી ચૂંટણીને જીતવા માટે કોઇને કોઇ કારણો શોધી રહી છે. ખાદ્ય સુરક્ષા બીલ લાવવાનો તેમનો ઇરાદો પણ દેશની જનતાની આંખોમાં ધૂળ ફેંકવા સમાન છે.
મોદીએ કહ્યું કે દિલ્હીની કેન્દ્ર સરકારનો આ પ્રયાસ મોંઘવારીથી ત્રસ્ત ગરીબોની ઝખ્મો પર મીઠું ભભરાવવા સમાન છે. કેન્દ્ર સરકારની તીખી ટીકા કરતા તેમણે કહ્યું કે, હિન્દુસ્તાનના તમામ રાજ્યો ગરીબના ઘરે ચૂલો સળગે, તેમની થાળીમાં રોટલી મળી શકે તેના માટે દરેક પ્રકારના પ્રયાસો કરતા જ રહે છે. ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં ગરીબ પરિવારોને સાર્વજનિક વિતરણ વ્યવસ્થાના માધ્યમથી 2 રૂપિયે કિલો ઘઉં અને ત્રણ રૂપિયે કિલો ચોખા આપવાની જે સુદૃઢ વ્યવસ્થા કરી છે, શું એ ખાદ્ય સુરક્ષા નથી? આ પ્રશ્ન ઉઠાવતા તેમણે કહ્યું કે, હવે તેને કેન્દ્ર સરકાર પોતાના નામે ચઢાવને કોઇ મોટી ક્રાન્તિ કરી રહી હોય તેમ ગરીબોનું પેટ અને ગરીબોની થાળીનું રાજકીયકરણ કરી રહી છે.
પ્રધાનમંત્રીને કેન્દ્રમાં રાખીને સીધો પ્રશ્ન
મોદીએ સીધો પ્રશ્ન પ્રધાનમંત્રીને કેન્દ્રમાં રાખીને ઉઠાવ્યો કે 2004માં ડો. મનમોહન સિંહની સરકાર સત્તામાં આવી અને 2014માં જ્યારે લોકસભાની ચૂંટણી આંખો સમક્ષ તરવરી રહી છે ત્યારે તેમને ગરીબોની યાદ કેવી રીતે આવી? વર્ષ 2004માં જ્યારે અટલજીની એનડીએ સરકારે સત્તા છોડી ત્યારે ગરીબોનું પેટ ભરાતું હતું. તેમની થાળીમાં રોટલી હતી પરંતુ મનમોહન સિંહની સરકારે એવી અસ્ત વ્યસ્ત સરકાર ચલાવી કે ગરીબોની થાળીમાં આજે રોટલી નથી.
યુપીએ આવું રાજકારણ ના કરે
મોદીએ કહ્યું કે, હિન્દુસ્તાનમાં ગરીબમાં ગરીબ વ્યક્તિને રોજી-રોટી મળી રહે, તેની થાળી ભરેલી રહે, પેટ ભરાયેલુ રહે, તેના માટે રાજ્યની સરકારોએ તેમના બજેટમાં પહેલાથી જ વ્યવસ્થા બનાવી રાખી છે, તેથી આ પ્રકારનું રાજકારણ કરવું એ યુપીએ સરકારને શોભતું નથી.