નર્મદા ડેમ રેકોર્ડબ્રેક સ્તરે, ભરૂચમાં પૂર જેવી સ્થિતી સર્જાઇ
કેવડિયા, 23 ઓગષ્ટ: ગુજરાતની જીવાદોરી નર્મદામાં પાણીની સપાટી શુક્રવારે 129.50 મીટરના ઐતિહાસિક સપાટીએ પહોંચી ગઇ છે. જેથી નર્મદા ડેમ પર 7.58 મીટર મોટી પાણીની ચાદર બની ગઇ છે. 121.92 મીટર ઉંચા આ ડેમ 21 જુલાઇથી ઓવરફ્લો થઇ રહ્યો છે.
અત્યાર સુધી એટલું પાણી વહી ચૂક્યું છે કે જેનાથી એક વર્ષ સુધી રાજ્યને જરૂરિયાત પુરી પાડી શકાતી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ડેમના વહિવટીતંત્રના અનુસાર આગામી 20 દિવસો સુધી આવી પરિસ્થિતી રહેવાની સંભાવના છે.
મધ્યપ્રદેશમાં ભારે વરસાદ અને ત્યાં ડેમોનું પાણી નર્મદામાં છોડવામાં આવતાં નર્મદા ડેમમાં પાણીની આવક ચાલુ છે. શુક્રવારે નવા પાણીનો પ્રવાહ 13 લાખ ક્યૂસેક હતો જ્યારે 9.62 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું.
વર્ષ 2012માં સાત સપ્ટેમ્બરના રોજ નર્મદા ડેમના ઇતિહાસમાં સૌથી વધુ પાણીની સપાટી 129.20 મીટર નોંધવામાં આવી હતી, જે રેકોર્ડ શુક્રવારે સાંજે સાત વાગે 129.50 મીટર સાથે તૂટી ગયો હતો. જેને લીધે આસપાસના 203 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.
ગુજરાતીની નદીઓ બની ગાંડીતૂર
ગુજરાતની નર્મદા, તાપી તથા મહી સહિતની નદીઓ ખતરાના સ્તર પર છે. જળવિભાજક વિસ્તારો વરસાદ અને જળાશયોમાંથી છોડવામાં આવેલું પાણી ગુજરાત પહોંચતા આ પરિસ્થિતી સર્જાઇ છે.
નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર
ભરૂચ-નર્મદા તથા વડોદરા સહિત 107 નીચાણવાળા વિસ્તારોના 203 ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. ભરૂચમાંથી 3800 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. હજી પણ યુદ્ધના ધોરણે પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત બચાવ અને સ્થળાંતરની કામગીરી ચાલુ છે.
નર્મદા ડેમ રેકોર્ડબ્રેક સપાટીએ
નર્મદા ડેમ રેકોર્ડબ્રેક સપાટીએ ઓવરફ્લો થતા નર્મદા નદીમાં પાણીની ભરપૂર આવક થતા પૂરની સ્થિતિ સર્જાઇ છે. ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નદીના પાણી શુક્રવારે ૩૨ ફૂટની ભયજનક સપાટીએ વહી રહ્યા છે. આજે શનિવારે નર્મદા નદી 35 ફુટની સપાટીએ પહોંચવા સંભવ છે. ભરૂચ, અંક્લેશ્વર. ઝગડિયા, હાંસોટ તાલુકાના નીચણવાળા વિસ્તારો અને કાંઠાના ગામોમાં નદીના પાણી ફરી વળ્યા છે. નદીની સપાટી હજુ વધવા સંભવ હોય પૂરની સ્થિતિ સામે તંત્ર એલર્ટ થઇ ગયું છે.
પ્રોટેક્શન દિવાલ ઉભી કરાશે
ગાંધીનગરથી જમીન સંરક્ષણ વિભાગની પાંચ સભ્યોની ટીમે ભરૂચની તાકીદે મુલાકાત લીધી હતી. ટીમના અધિકારી ભટ્ટે જણાવ્યા પ્રમાણે પુરના કારણે ભારે તારાજીથી બચી શકાય તે માટે નદીના કિનારે 46 કરોડના ખર્ચે પ્રોટેક્શન દિવાલ ઉભી કરાશે અને પુર ઓસરતાની સાથે જ આ દિવાલ બનાવવાની કામગીરી શરૂ થઇ જશે.
23 કરોડના બજેટની બાંહેધરી
આ દિવાલ ગોલ્ડન બ્રીજથી શરૂ થઇને સરફુદીનની આગળ દોઢ કિલોમીટર સુધી બનશે. જીલ્લા કલેક્ટર અવન્તિકાસિંહે વધારાની દોઢ કિલોમીટરની વોલ માટેના વધારાના 23 કરોડના બજેટ અંગે બાંહેધરી આપી હતી.