પોલીસે રિક્ષા ચાલકને માર મારતા સ્થાનિકોએ કર્યો ચક્કાજામ!
અમદાવાદમાં સરખેજ ચોકડી ખાતે પોલીસે રિક્ષા ચાલકને માર મારતાં સ્થાનિકો અને અન્ય રિક્ષા ચાલકોએ રસ્તા પર ચક્કાજામ કર્યો હતો.
અમદાવાદ શહેરમાં સરખેજ વિસ્તારમાં પોલીસે રિક્ષા ચાલકને માર મારતા રોષે ભરાયેલા સ્થાનિકો અને અન્ય રિક્ષા ચાલકોએ સરખેજ ચોકડી પર ચક્કાજામ કર્યો હતો. અમદાવાદ શહેરમાં સૌરાષ્ટ્ર તરફથી આવવાના મુખ્ય રસ્તા પર ચક્કાજામ કરતા ટ્રાફિક જામ થઈ ગયો હતો અને વાહનોની લાંબી કતારો લાગી હતી. રોષે ભરાયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, જેને કારણે વાહનોના કાચ તૂટ્યા હતા. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસે ટોળા પર લાઠીચાર્જ કર્યો હતો અને ચક્કાજામ દુર કરી રસ્તો ખુલ્લો કર્યો હતો.
ઉપલબ્ધ જાણકારી અનુસાર, સરખેજ ચોકડી પાસે ટ્રાફિકની સમસ્યાને કારણે ટ્રાફિક પોલીસ કર્મીએ રિક્ષા ચાલકને રિક્ષા ખસેડવાનું કીધું હતું. આ મુદ્દે બંન્ને વચ્ચે બોલાચાલી થતાં ટ્રાફિક જવાને રિક્ષા ચાલકને માર માર્યો હોવાનો રિક્ષા ચાલકે આક્ષેપ કર્યો હતો. પોલીસે રિક્ષા ચાલકને માર માર્યા હોવાની વાત વાયુ વેગે પ્રસરી ગઇ હતી અને મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો અને સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ઉશ્કરાયેલા ટોળાએ પોલીસની માફીની માંગ સાથે સરખેજ ચોકડી પર ચક્કાજામ કરી દીધો હતો. વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મામલો વધુ ગંભીર બનતાં પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.