PM મોદી & PM આબેની યાત્રાને લઇને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત
જાપાનના વડાપ્રધાન અને ભારતના વડાપ્રધાનના રોડ શોને ધ્યાનમાં રાખી જિલ્લા તંત્રે સુરક્ષામાં વધારો કર્યો. ગાંધીનગર અને અમદાવાદના જાહેર રસ્તાઓ પર આવેલા લારી-ગલ્લાઓને હટાવવામાં આવ્યા. આ અંગે વધુ વાંચો અહીં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારથી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી ગયા છે. મોદી બપોરના 2:30 વાગ્યેની આસપાસ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. જયારે જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે પણ આવી ગયા છે. મોદી જાપાનના વડાપ્રધાનનું સ્વાગત કર્યા બાદ બંને નેતા એરપોટથી સીધા રોડ શો કરીને ગાંધી આશ્રમ જશે. બંને વડાપ્રધાનની આ મુલાકાતને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્ર દ્વારા સુરક્ષામાં કોઈ ચૂક ના રહી જાય તેને લઈને પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. સલામતીના કોઇ પ્રશ્નો ઊભા ન થાય તેના માટે જિલ્લા તંત્ર તરફથી તમામ પ્રયાસ શરૂ કરાયા છે. જાપાનના વડાપ્રધાન પણ ગાંધીનગર આવી રહ્યાં છે, તે અંતર્ગત જે રૂટ પરથી તેઓ પસાર થશે તે માર્ગ પરની દુકાનોને બંધ રાખવામાં આવશે. ઉપરાંત શહેરભરમાંથી લારી-ગલ્લા હટાવી દેવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, વડાપ્રધાનની સુરક્ષા માર્ગદર્શિકા અનુસાર જે માર્ગ પરથી વડાપ્રધાન પસાર થવાના હોય તે માર્ગ પર લારી- ગલ્લાઓ પર પ્રતિબંધ ફરજિયાત છે. આથી તે અનુસાર શહેરના જાહેર માર્ગો પર આવેલા તમામ લારી-ગલ્લાને દૂર કરી દેવામાં આવ્યા છે. આ કાયદાના અમલ માટે સૌ પ્રથમ તો રૂટ પરની દુકાનો બંધ કરવામાં આવી હતી. જો કોઇ દુકાનદાર દુકાન ખોલશે તો તેને બંધ કરાવવામાં આવશે. તેવી જ રીતે માત્ર રૂટ પરના નહીં, પરંતુ શહેરના તમામ જાહેર સ્થળો અને મુખ્ય માર્ગો પર ઊભા રહેતા લારી-ગલ્લા ધારકો તારીખ 14મીએ પણ ઊભા નહીં રહી શકે. આ અંગે તેઓને પણ અગાઉથી કહી દેવામાં આવ્યું છે. જો આ સુચનાનું પાલન કરવામાં નહીં આવે તો જે-તે શ્રમજીવીના લારી-ગલ્લાને જપ્ત કરી લેવામાં આવશે.