વિસાવદરઃ બાપાનું બેટ બોલશે કે ભાજપનું કમળ ખીલશે?
પ્રથમ તબક્કામાં 87 બેઠકો પર ચૂંટણી છે, જેમાં સૌરાષ્ટ્રની 48 બેઠકો પર 13 ડિસેમ્બરે મતદાન થવાનું છે. જોકે, બધાની નજર વિસાવદર બેઠક પર રહેશે, બધાને મનમાં એક જ પ્રશ્ન હશે કે આ બેઠક પર બાપાનું બેટ બોલશે કે ભાજપનું કમળ ખીલશે. આ પ્રશ્નોના જવાબ તો 20મી ડિસેમ્બરે મત ગણતરી થયા પછી જ ખબર પડશે, પરંતુ અહીં વિસાવદર બેઠક માટેની આછેરી માહિતી આપવામાં આવી છે. આ બેઠકને રાજ્યની સૌથી હોટ બેઠકોમાની એક માનવામાં આવે છે.
રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર
ભાજપ- કનુભાઇ ભાલાળા
ભાજપના ઉમેદવાર કનુભાઈ ભાલાળા છે, તેમની મિલકત ૨.૮૯ કરોડ છે, ૨૦૦૨ અને ૨૦૦૭માં તેઓ વિસાવદર બેઠક પર ભાજપમાંથી ચૂંટાયા હતાં. ખેડૂત એવા કનુ ભાલાળા ફરી આ બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યાં છે. જો કે, તેમણે પ્રજાનાં પ્રશ્નો સાંભળ્યા નથી. તેથી પ્રજા તેમના પક્ષમાં મત આપે તેવી શક્યતાઓ નહિવત છે, બીજી બાજુ કેશુભાઈ એકમાત્ર પ્રબળ હરીફ હોવાથી ભાજપ જીતનો દાવો કરવાને બદલે મતદારોનું મન પારખવા મથી રહ્યું છે.
જીપીપી- કેશુભાઇ પટેલ
જીપીપીનાં ઉમેદવાર કેશુભાઈ પટેલ છે. તેમની મિલકત ૨.૬૯ કરોડ છે. જીપીપી તરીકે ત્રીજા પક્ષની રચના કેશુભાઇએ કરી છે. તેઓ જ્યારે ભાજપમાં હતાં ત્યારે ૧૯૯પ અને ૧૯૯૮માં વિસાવદર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. પૂર્વ મૂખ્યમંત્રી કેશુભાઇ આ વખતે વિસાવદરમાં ભાજપ સામે જ ટકરાશે. એક તો આ તેમનો ગઢ અને જ્ઞાતિ સમિકરણો પણ કેશુભાઇ પટેલના તરફેણમાં છે. તેમાં વળી કનુભાઇએ લોકોનો વિશ્વાસ ગુમાવ્યો છે તેથી કેશુભાઇની જીત સુનિશ્ચિત માનવામાં આવી રહી છે.
કોંગ્રેસ- કોઇ ઉમેદવાર નથી
કોંગ્રેસના ઉમેદવાર હર્ષદભાઇ રીબડીયાનું મેન્ડેટ છીનવાઇ જવાના હાઇવોલ્ટેજ ડ્રામાના કારણે આ વખતની ચૂંટણીમાં વિસાવદર બેઠક પર કોંગ્રેસનો કોઇ ઉમેદવાર નથી.
કેશુબાપાનો વિજય મનાય છે નિશ્ચિત, ભાજપના માટે કપરા ચઢાણ
વિસાવદર પોતાની હોમપીચ હોવાના કારણે તથા ત્યાં પટેલ જ્ઞાતિનું પ્રભુત્વ વધારે હોવાના કારણે પરિવર્તન પાર્ટીના કેશુભાઇ પટેલનો વિજય નિશ્ચિત મનાઇ રહ્યો છે. હાલ આ બેઠક ભાજપના કબજામાં છે. પણ કેશુબાપાએ ચૂંટણીમાં ઝંપલાવતા ભાજપના કનુભાઈ ભાલાળા માટે કપરા ચઢાણ હોય તેવું માનવામાં આવી રહ્યું છે.
પરિવર્તન અને પુનરાવર્તનનો ટકરાવ
વિસાવદરની બેઠકમાં પરિવર્તન અને પુનરાવર્તનનો સીધો ટકરાવ જોવા મળી રહ્યો છે, પરિવર્તન એટલે કે કેશુભાઇ પટેલ અને પુનરાવર્તન એટલે કે સીટીંગ એમએલએ કેનુભાઇ ભાલાળા. જેના કારણે જંગ ચર્ચામાં પણ છે અને અહીં કશ્માકશ પણ છે.
મેન્ડેટ ડ્રામા
વિધાનસભાની ચૂંટણીમાં બધાની નજર સોરઠની વિસાવદર બેઠક પર છે, જેમાં એક આશ્ચર્યજનક ડ્રામા સર્જાયો હતો, કોંગ્રેસના ઉમેદવાર હર્ષદ રીબડિયાનું મેન્ડેટ ટેણીયું લઇને ભાગી ગયું હતું. તેમણે મેન્ડેટની ઝેરોક્ષ રજૂ કરી હતી પરંતુ ચૂંટણી પંચે તેને માન્ય નહીં રાખી તેમનું ફોર્મ રીજેક્ટ કરતા સીધો જંગ ભાજપના પૂર્વ નેતા અને જીપીપીના સ્થાપક કેશુભાઇ પટેલ અને ભાજપના હાલના ધારાસભ્ય કનુભાઇ ભાલાળા વચ્ચે છે. જો કે, ત્યાર બાદ એક એવી રાજકીય ચર્ચા જાગી હતી કે ભાજપને વિસાવદરમાં માત આપવા માટે કોંગ્રેસ અને કેશુભાપા વચ્ચે કોઇ મીલીભગત આ મેન્ડેટ ડ્રામા હોય શકે છે.
સિદ્ધુની વિવાદિત ટીપ્પણી પડી શકે છે ભારે
વિસાવદરમાં ભાજપની ચૂંટણી સભામાં સાંસદ અને પૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિંધુએ કેશુભાઈ પટેલને દેશદ્રોહી કહ્યા હતા, તેમની આ ટીકાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને ભાજપના જ એક સભ્યએ સિદ્ધુ વિરુદ્ધ વિસાવદર કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેના પરથી એ વાતની શંકા સેવાઇ રહી છે કે, કેશુભાઇ પટેલ પહેલા ભાજપમાં હતા અને આ વિસ્તારમાં તેમના પ્રત્યે ઘણું માન છે, ગુજરાતના એકપણ ભાજપી નેતા કેશુભાઇ વિરુદ્ધ શબ્દસુદ્ધા ઉચ્ચારતા નથી ત્યારે સિદ્ધુની આ ટીપ્પણી આ બેઠકમાં ભાજપને ભારે પડી શકે છે.