અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ એપ્રિલમાં ગુજરાત આવશે

ગુજરાતી મૂળના સુનિતા 4 એપ્રિલે ગુજરાતની મુલાકાત લેવાના છે. અંતરીક્ષ ક્ષેત્રે કારકિર્દી ઘડવા ઇચ્છતા વિદ્યાર્થીઓને તેઓ પોતાની આ યાત્રા દરમિયાન પ્રોત્સાહિત કરશે. લાડથી ‘સુન્ની' તરીકે જાણીતા સુનિતા વિલિયમ્સ 3જી એપ્રિલે ગુજરાતમાં આગમન કર્યા બાદ પાંચમી એપ્રિલે તેઓ અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે એન્જીનિયરીંગ અને સાયન્સના વિદ્યાર્થીઓને સંબોધશે.
સુનીતાના પિતા દિપકભાઇ પંડયા મહેસાણાના જુલાસણ ગામના છે. અંતરિક્ષમાં બીજી વખત જઇ સુનીતાએ 127 દિવસનું લાંબુ રોકાણ કરી ઇતિહાસ રચ્યો હતો. તેમની આ ઐતિહાસિક અંતરીક્ષ યાત્રા 20મી નવેમ્બર, 2012ના રોજ પૂર્ણ થઇ હતી. આમ આ સિધ્ધી મેળવ્યા બાદ તેઓ પ્રથમ વખત ભારત આવી રહ્યા છે. 1લી એપ્રિલે તેઓ ભારત પહોંચશે અને ત્રીજીએ ગુજરાત આવશે.
તેમના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે અંતરીક્ષમાં અનોખો રેકોર્ડ સર્જયા બાદ સુનિતા ભારત આવવા આતુર છે. વર્ષ 2007માં અંતરીક્ષની પ્રથમ યાત્રા બાદ પણ તેઓ ગુજરાતની યાત્રાએ આવ્યા હતા. સુરક્ષાલક્ષી કારણોને લીધે સુનિતાની આ યાત્રા અંગે વધુ માહિતી જાહેર કરવામાં આવી નથી.
પ્રપ્ત અહેવાલ મુજબ ૧લી એપ્રિલે ભારત આવ્યા બાદ બીજી એપ્રિલે આખો દિવસ તેઓ દિલ્હીમાં રહેશે અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી તથા વડાપ્રધાન મનમોહનસિંહને મળવા જઇ શકે છે. 3જી એપ્રિલે મુંબઇની મુલાકાતે જશે અને ત્યાં મહિલાઓની હોસ્ટેલનું ઉદ્ઘાટન કરે તેવી શકયતા છે. મુંબઇથી અમદાવાદ આવ્યા બાદ 4થી એપ્રિલે પોતાના ગામ જુલાસણા જઇ દાઉલા માતાજીના મંદિરે દર્શન કરવા જશે. એપ્રિલના પ્રથમ સપ્તાહના અંતે તેઓ અમેરિકા પરત ફરી શકે છે.












Click it and Unblock the Notifications
